મોરબી જિલ્લામાં હજુ બે દિવસ પવન સાથે વરસાદની આગાહી

- text


ખેડૂતોએ રાખવની થતી સાવચેતી અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને મોરબી જિલ્લામાં હજુ આગામી બે દિવસ એટલે કે, આગામી તા.28મી સુધી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડુતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

- text

ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા તેમજ એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text