દંપતિના ડખ્ખામાં અજય લોરીયાનું નામ આવ્યા બાદ પાટીદાર નવરાત્રી મહોત્સવના સભ્યોએ છેડો ફાડયો

- text


પતિ – પત્નીના ઝગડામાં અજય લોરિયાનું નામ આવ્યા બાદ અજય લોરિયાની સામે તેની જ આગેવાનીમાં થતા પાટીદાર નવરાત્રી મહોત્સવના સભ્યોએ પણ આક્ષેપો કર્યા : વિવાદ અને આક્ષેપો અંગે અજય લોરિયાએ કહ્યું ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી તમામ આક્ષેપોનો જવાબ આપીશ

મોરબી : મોરબીમા રહેતા દંપતીના ઝઘડામાં રાજકીય આગેવાન અજય લોરીયા સહિત ત્રણ લોકોના નામો આવ્યાનો વિવાદ વધુ પેચીદો બની રહ્યો છે. આ મામલે પરિણીતાના પતિએ એક વિડીયો જાહેર કરી સમગ્ર મામલે માત્ર અજય લોરીયા જ જવાબદાર હોવાનું અને તેમની પત્નીએ અન્ય બે લોકોના નામ અજયના ઈશારે જ એફઆરઆઈમાં લખાવ્યા હોવાનું જાહેર કર્યું છે તો બીજી તરફ પાટીદાર નવરાત્રીના આયોજકોમાંથી 12 સભ્યોએ આ બનાવ બાદ તાત્કાલિક અસરથી અજય લોરીયા સાથે છેડો ફાડયો હોવાની પ્રેસનોટ જાહેર કરતા વિવાદ વધુ વકર્યો છે તો બીજી તરફ અજય લોરીયાએ તમામ આક્ષેપોનો જવાબ ટૂંક સમયમાં પ્રેસ કોંફરન્સ કરીને આપશે તેવું જાહેર કર્યું છે. જેથી આ મુદ્દે આગામી સમયમાં વધુ વિવાદ ઉગ્ર બને તેવી શકયતા છે.

- text

હાલ મોરબીમાં ચર્ચાસ્પદ બનેલા આ વિવાદની વિગત જોઈએ તો થોડા દિવસો પેહલા મોરબીની શ્રધ્ધા રાજપરા નામની પરણિતાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ નીરવ રાજપરાએ તેના પર રાજકીય આગેવાન અજય લોરિયા, સ્ટુડિયો વાળા મેહુલ, અને જીમ ટ્રેનર હર્ષદ પટેલ સાથે આડા સબંધ હોવાની શંકા કરી માર માર્યો હતો. આ બનાવમાં પોલીસ ફરિયાદ બાદ આરોપી પતિ ફરાર છે તેવામાં આજે આરોપી પતિ નીરવ રાજપરાએ એક વિડીયો જાહેર કરી આ ઝઘડામાં તેની પત્ની શ્રધ્ધાએ અજય લોરીયાના ઈશારે જ મેહુલભાઈ અને હર્ષદભાઈનું નામ લખાવ્યું હોવાનું કહી નિરવે આવનાર દિવસોમાં હજુ પણ નવા ઘટસ્ફોટ કરશે તેવું જાહેર કર્યું છે.

આરોપી પતિએ શું વીડિયોમાં કહ્યું તે જુઓ..https://youtube.com/shorts/_54zpTycEeg?feature=share

તેમજ બીજી તરફ દંપતીના આ ઝઘડામાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું નામ પણ ચર્ચાના એરણે ચડતા પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકોમાંથી 12 જેટલા સભ્યોએ આજે જાહેર જનતા જોગ સ્પષ્ટતા કરી એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે આજથી અજય લોરીયાને પાટીદાર નવરાત્રી મહોત્સવ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું અને પાટીદાર નવરાત્રી મહોત્સવ અજય લોરીયાનો જ એકમાત્ર ન હોવાનું તેમજ આ નવરાત્રી મહોત્સવનો તેણે અંગત રાજકીય રોટલા શેકવા લાભ લીધો હોવાનું પણ ખુલ્લેઆમ જણાવી અજય લોરીયા નવરાત્રી મહોત્સવમાંથી છુટા કર્યાનું જાહેર કર્યું છે.

બીજી તરફ જેમના ઉપર ગંભીર આક્ષેપ થયા છે તે અજય લોરીયાએ સમગ્ર આક્ષેપો મામલે ટૂંક સમયમાં પ્રેસ કોંફરન્સ કરી જવાબ આપશે તેવું જણાવ્યું હતું.

મોરબીમાં હાલ આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હવે આ વિવાદ મુદ્દે અજય લોરીયા શું જવાબ આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

 

 

- text