મોરબી જિલ્લામાં રાસાયણિક ખાતર, દવા અને બિયારણના 28 નમૂના ફેઈલ 

- text


ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સતત કામગીરી : 28 કિસ્સામાં નોટિસ ફટકારવામાં આવી 

મોરબી : મોરબી જિલ્લામાં સિંચાઇની સુવિધાને કારણે ખેડૂતો બારમાસી ખેતી કરી રહ્યા છે ત્યારે ડુપ્લિકેટના આ સમયમાં ખેડૂતો છેતરાઈ નહીં તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત બે સ્ક્વોડ બનાવી જિલ્લાભરમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણના નમૂના લઈ રહી છે ત્યારે ચાલુ વર્ષે ચેકીંગ દરમિયાન રાસાયણિક ખાતર, દવા અને બિયારણના 28 નમૂના ફેઈલ થતા તમામ સામે કાનૂની રાહે પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત ગેરરીતિ મામલે 28 વિક્રેતાઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

મોરબી ખેતીવાડી વિભાગના અધિકારી પરસાણીયાના જણાવ્યા મુજબ એપ્રિલ-2022થી ડિસેમ્બર -2022 દરમિયાન ખેતીવાડી વિભાગની બે સ્ક્વોડ દ્વારા સમગ્ર જિલ્લામાં ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ ચાલુ રાખવામાં આવી હતી અને જરૂર જણાયે સેમ્પલ મેળવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી નમૂના ફેઈલ થયા હોય તેવા વિક્રેતા કંપનીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, એપ્રિલ-2022થી ડિસેમ્બર -2022 દરમિયાન ડીએપી, યુરિયા અને વોટર સોલ્યુબલ ખાતરના 254 નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 10 નમૂના નાપાસ થયા હતા. એ જ રીતે રાસાયણિક દવાના 60 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 7 સેમ્પલ પૃથકરણમાં નાપાસ થયા હતા ઉપરાંત કપાસ, તલ અને જીરું સહિતના 152 અલગ અલગ બિયારણના નમૂના લેવામાં આવ્યા હતા જેની ચકાસણીમાં 11 બિયારણના નમૂના ફેઈલ થતા તમામ કિસ્સામાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમિયાન ખેતીવાડી અધિકારી ફળદુભાઈ અને મદદનીશ ખેતીવાડી અધિકારી દલસાણિયાભાઈની સ્ક્વોડ દ્વારા 26 જેટલા ખાતર અને દવાના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં 17 ખાતર વિક્રેતા, 8 રાસાયણિક દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને જુદી-જુદી ક્ષતિ અને ગેરરીતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text