હળવદ દુર્ઘટના : સીએમ ભુપેન્દ્ર પટેલે મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી

- text


મુખ્યમંત્રીએ ઘટનાનો અહેવાલ ત્રણ દિવસમાં આપવાનો આદેશ આપ્યો

હળવદ : હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં 30 ફૂટ ઊંચી દીવાલ ધારાશયો થવાની દુર્ઘટનાએ 12 વ્યક્તિઓનો ભોગ લીધો હતો. આ આકસ્મિક દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને આજે હળવદ આવી પહોંચ્યા હતા. તેઓએ હળવદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો તેમજ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્વના આપી હતી. તેમજ આ દુર્ઘટનાનો સમગ્ર અહેવાલ ત્રણ દિવસમાં આપી દેવાનો આદેશ આપ્યો છે.

હળવદની ગોઝારી દુર્ઘટનાને પગલે અધિકારીઓ તેંમજ રાજ્યમંત્રી તથા મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા તેમજ પૂર્વ રાજ્યમંતી જયંતિભાઈ કવાડિયા સહિતના પદાધિકારીઓ દોડી જઈને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રીએ મૃતકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. જ્યારે નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરી હળવદ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મુખ્યમંત્રીએ હળવદ સિવિલ હોસ્પિટલમાં દોડી જઈને મૃતકોના પરિવારોને સાંત્વના પાઠવી હતી અને આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેમજ ઘટનામાં કોણ કોણ જવાબદાર છે તે સહિતની રજેરજની વિગતોનો સંપૂર્ણ અહેવાલ ત્રણ દિવસમાં મોકલાવી દેવાનો આદેશ આપ્યો છે. જ્યારે મુખ્યમંત્રી સાથે હાજર રહેલા રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ ઘટનામાં જવાબદાર તમામ સામે કડક કાર્યવાહી કરશે અને ગંભીર ઘટનાને લઈને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક મુલાકાત લઈને ત્વરિત કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા છે. આ ઘટના કેવી રીતે બની તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે કોઈને પણ છોડવામાં નહિ આવે. મૃતકોના પરિવારને ન્યાય આપવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. તેમજ મૃતકોના પરિવારની પડખે સરકાર ઉભી છે. એટલે આ ઘટનાની ન્યાયિક તપાસ થશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, કારખાનેદાર દ્વારા પણ મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ઘટનામાં હવે પોલીસ કોની સામે ક્યાં પ્રકારનો ગુન્હો નોંધી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

- text

- text