હાશકારો ! ધો.10 અને ધો.12 સાયન્સની પરીક્ષા પૂર્ણ, મહિનામાં પરિણામ

- text


વિદ્યાર્થીઓ હળવાફૂલ, હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની 26 માર્ચના રોજ છેલ્લુ પેપર

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 11માર્ચથી શરૂ કરાયેલ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓમાં શુક્રવારે ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થતા લાંબા સમયથી સતત વાંચન લેખનમાં ગળાડૂબ બનેલા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવી હળવા ફૂલ બન્યા હતા. હવે હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની 26 માર્ચના રોજ છેલ્લુ પેપર લેવામાં આવશે, બીજી તરફ લોકસભા ચૂંટણીને પગલે પરિણામો પણ વહેલા હોય એક જ મહિનામાં પરિણામો આવવાની શક્યતા જોવાઈ રહી છે.

બોર્ડની પરીક્ષામાં આજે શુક્રવારે ધોરણ-10 અને 12 સાયન્સમાં છેલ્લા પેપર સાથે પરીક્ષા સત્તાવાર રીતે પૂર્ણ થઇ રહી છે, ધોરણ-10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પ્રવાસ, ઈન્ટરનેટ અને મિત્રતા વિશે નિબંધ પૂછવામાં આવ્યા હતા. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં હિન્દી દ્વિતીય ભાષાનું પેપર પણ સરળ રહ્યું હતું. જોકે, શુક્રવારે ધોરણ-10 અને 12માં છેલ્લુ પેપર હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાના પ્રેશરમાંથી મુક્ત થશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું એક પેપર બાકી છે જે તા. 26 માર્ચના રોજ લેવાશે. ધોરણ-10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાતીનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. આ અંગે વિષય નિષ્ણાંત મિતેશ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર ખૂબ જ સરસ અને સરળ રહ્યું હતું. ગ્રામરનો વિભાગ પણ વિદ્યાર્થીઓને સરળ લાગ્યો હતો.

- text

ધોરણ-10માં નિબંધમાં મારો યાદગાર પ્રવાસ, ઈન્ટરનેટના લાભાલાભ અને મિત્રતાની મિઠાશ પૂછવામાં આવ્યા હતા. આમ, એકંદરે વિદ્યાર્થીઓની અપેક્ષા પ્રમાણેનું પેપર સરળ હતું. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં હિન્દી દ્વિતીય ભાષાની પરીક્ષા લેવામાં આવી હતી. આ પેપર પણ સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા. શિક્ષણ બોર્ડની 11 માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં હવે શુક્રવારે ધોરણ-10 અને 12 સાયન્સની છેલ્લી પરીક્ષા હોય વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. શુક્રવારના રોજ હિન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત સહિતની દ્વિતીય ભાષાની પરીક્ષા હતી. જ્યારે ધોરણ-12 સાયન્સમાં ભાષા અને કમ્પ્યૂટર એજ્યુકેશનની પરીક્ષા લેવાઈ હતી.

આમ, આ છેલ્લા પેપર સાથે ધોરણ-10 અને 12 સાયન્સની પરીક્ષા સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે અને હવે માત્ર ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બાકી રહેશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ મહત્ત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓને રાહત થઈ છે. હવે સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર પરિચય, શનિવારના રોજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃતની પરીક્ષા લેવાશે. જ્યારે મંગળવારના રોજ રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની પરીક્ષા સાથે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ પૂર્ણ થશે. સામાન્ય પ્રવાહમાં માત્ર બે જ પરીક્ષા બાકી રહેશે. જેથી હવે મૂલ્યાંકનની કામગીરી ઝડપી બનાવવામાં આવશે.

- text