- text
અધિકારીઓની નિમણૂક ન થવાના કારણે ઉદ્યોગકારોને ભારે હાલાકી, વહેલી તકે પ્રશ્ન નિવારવાની માંગ
મોરબી : રાજકોટ ખાતે ફાળવામાં આવેલ જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ માટે અધિકારીની નિમણુક સંદર્ભે મોરબી સિરામિક એસોસિએશને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી છે.
વિટ્રિફાઇડ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ એમ.આર.કુંડારિયા, ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ વિનોદ ભાડજા, વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલીયા, સેનેટરી વેર એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલે રજુઆતમાં જણાવ્યું છે કે નાણાં મંત્રાલય – ભારત સરકાર દ્વારા ગુજરાતમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની ત્રણ ઓફિસ પૈકીની એક સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટ શહેરમાં ફાળવવામાં આવેલ છે. ટ્રિબ્યુનલની ફાળવણી બાદ આજ સુધી અધિકારીઓની નિમણૂક ન થવાના કારણે ઉદ્યોગકારો હાલાકી ભોગવવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઇ સત્વરે કચેરી કાર્યરત કરવામાં આવે.જેથી જીએસટીને લઇ ઉદ્યોગકારોના પ્રશ્નોના નિકાલ થઈ શકે.
- text
- text