- text
ભણવામાં પ્રમાણમાં એવરેજ વિદ્યાર્થીઓને એડમિશન ન મળતું હોવાની રાવ : શહેરની મોટાભાગની માધ્યમિક શાળાઓમાં પ્રવેશ ફૂલ હોય એડમિશન ક્યાં મળવવું ? એ યક્ષ પ્રશ્ન
મોરબી : સરકાર વર્ષોથી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા મથામણ કરી રહી છે, પ્રાથમિક શાળાના શિક્ષકો ધોરણ આઠ સુધીનું શિક્ષણ વિદ્યાર્થીઓને પૂર્ણ કરાવે છે પણ મોરબી જિલ્લાના મોરબી,વાંકાનેર હળવદ વગેરે શહેરોની આસપાસ સરકારી માધ્યમિક શાળા ગ્રાન્ટેડ હાઇસ્કુલો માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોવાની સાથે આ શાળાઓમાં નવમા ધોરણના વર્ગો મર્યાદીત હોવાથી, હોશિયાર વિદ્યાર્થીઓને એડમિશન મળી જાય છે પણ ભણવામાં પ્રમાણમાં એવરેજ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકતું નથી. હાલમાં મોરબીમાં આવા 2970 બાળકો પ્રવેશથી વંચિત હોય ભણશે ગુજરાત સૂત્રને સ્પીડબ્રેકર આવી ગયાનું સાબિત થઇ રહ્યું છે.
મોરબીમાં હાલમાં સરકારી શાળામાં એડમિશન ન મળવાથી કેટલાક બાળકોને ખાનગી શાળામાં એડમિશન લેવું પડ્યું છે પણ આ વિદ્યાર્થીઓ ખાનગી શાળાની ફી ભરી શકવાની સ્થિતિમાં ન હોય એમનું શિક્ષણ અધવચ્ચે છૂટી જાય છે,વળી ગ્રામ્ય વિસ્તારની ઘણી બધી માધ્યમિક શાળાઓ વિદ્યાર્થીઓના રહેઠાણથી ખૂબ દૂર હોય ઘણા બધા વાલીઓ પોતાની દિકરીઓને ઘરથી દૂર શિક્ષણ લેવા મોકલતા નથી,ઘણા સમાજમાં હજુ પણ દિકરીઓને પ્રાથમિક સુધી જ ભણાવે છે ઘણા ગરીબ પરિવારો ગરીબીને કારણે પોતાના પુત્રોને નાના મોટા ધંધામાં જોઈન્ટ કરી દે છે આવા અનેક કારણોસર મોરબી જિલ્લામાં 17762 વિદ્યાર્થીઓ ગત વર્ષે આઠમા ધોરણમાં હતા એ પૈકી 2970 જેટલા વિદ્યાર્થીઓએ નવમા ધોરણમાં પ્રવેશ પ્રાપ્ત કરેલ નથી.
- text
મોરબી જિલ્લામાં સરકાર જ્ઞાનસેતુ,જ્ઞાનસાધના, વગેરે જેવી યોજનાઓ માત્ર હોંશિયાર વિદ્યાર્થીઓ માટે લાવી રહી છે પણ ભણવામાં નબળા વિદ્યાર્થીઓ માટે નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરતી નથી પરિણામે ઘણાં બધાં વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત રહી જાય છે, હાલના શહેરીકરણના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓ ખાલી રહે છે પણ શહેરી વિસ્તારોમાં જો નવી સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવામાં આવે તો ડ્રોપ આઉટ રેશિયો ઘટી શકે તેમ છે.હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને આ 2970 વિદ્યાર્થીઓને શોધીને નવમા ધોરણમાં પ્રવેશ આપવા માટે તાકીદ કરેલ છે પણ મોટાભાગની માધ્યમિક શાળાઓમાં પ્રવેશ ફૂલ છે તો એડમિશન ક્યાં આપવું એ યક્ષ પ્રશ્ન છે?
મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી રાણિપાએ જણાવ્યું હતું કે જિલ્લામાં 2970 માંથી ગઈ કાલે 200 વિદ્યાર્થીઓને ટ્રેકિંગ કરાયા છે .વિદ્યાર્થીઓએ પ્રવેશ નથી મેળવ્યો તેના માટે જુદા જુદા કારણો સામે આવ્યા છે. મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરોના બાળકો હોય તેમજ અન્ય રાજ્યોના હોવાથી તેમજ સતત ગેરહાજરી અથવા નાપાસ થયા હોય તો ધો. 9 માં ફરીથી પ્રવેશ મેળવ્યો નથી બાકી રહેલા તમામ ને ટ્રેકિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે અને તમામ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચના આપી દીધી હોવાનું તેમને જણાવ્યું હતું.
- text