મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં કાયમી આચાર્યની નિમણુંક કરવા માંગ

- text


શૈક્ષિક મહાસંઘ દ્વારા વી.સી. હાઈસ્કૂલમાં કલાસ-2 આચાર્યની નિમણુંક કરવા ધારાસભ્ય સમક્ષ રજૂઆત

મોરબી :મોરબીની વી.સી.હાઈસ્કૂલમાં વર્ગ-૨ના કાયમી આચાર્યની નિમણુંક કરવા માંગ ઉઠી છે. જેમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા વી.સી. હાઈસ્કૂલમાં કલાસ-2 આચાર્યની નિમણુંક કરવા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

શૈક્ષીક મહાસંધ દ્વારા ધારાસભ્યને કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબીમાં આવેલ મોરબીની શાન સમી રજવાડા વખતની ધ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે,અને મોરબી જિલ્લાની મોટામાં મોટી હાઈસ્કૂલ છે,જેમાં હાલ જે ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકને ગંભીર અકસ્માતમાં માથાના ભાગે ઈજા થતા લાંબી રજા પર છે એટલે ઈન્ચાર્જ આચાર્યનો ચાર્જ એમના પછીના સિનિયર શિક્ષકને આવેલ છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, વી.સી.હાઈસ્કૂલ જિલ્લા મથકે આવેલ હોય, સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાહિત્ય રાખવું સ્ટ્રોંગ રૂમ તેમજ અન્ય સરકારી કાર્યક્રમોનું આયોજન આ સ્થળે થતું હોય છે. બોર્ડની પરીક્ષામાં પણ આચાર્યની મસમોટી કામગીરી આમ અનેકવિધ જવાબદારીઓ ઈન્ચાર્જ આચાર્યને નિભાવવામાં ખુબજ મુશ્કેલીઓ પડે છે. વળી શાળામાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોય વી.સી.હાઈસ્કૂલના સુચારુ સંચાલન અને વ્યવસ્થાપન માટે અને 1200 વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વર્ગ – ૨ના કાયમી આચાર્ય તરીકે સત્વરે નિમણુંક આપવા કે અન્ય વર્ગ-૨ ના આચાર્યને ચાર્જ આપવા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શૈક્ષિક મહાસંઘ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- text