મોરબીના પીપળીયા ગામે અનાજ દળવાની ઘંટી તોડી નાખવા પ્રયાસ, સામસામી ફરિયાદ

- text


સામા પક્ષે જેસીબીથી મકાનના પાયા ખોડવા સમયે માથાકૂટ થવા અંગે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ગામે અનાજ દળવાની ઘંટી ગેરકાયદેસર હોવાનું કહી બે આરોપીઓએ જેસીબી વડે દુકાન તોડવા પ્રયાસ કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે. તો સામે પક્ષે મકાનના પાયા ખોદવા મામલે જેસીબી ચાલકને ગાળો આપવા તેમજ બોલાચાલી કરી હુમલો કરવા સંદર્ભે વળતી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ જાડેજાએ પોતાની અનાજ દળવાની ઘંટી ગેફકાયદેસર હોવાનું કહી જેસીબી મશીનથી પાડવા જતા ગોવિંદસિંહે દુકાન તોડવાની ના પાડતા બન્ને આરોપીઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

- text

સામાપક્ષે ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજાએ પણ તાલુકા પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ઘર પાસે કોમનપ્લોટમા પાયા ખોદવાનું કામ ચાલુ હતું ત્યારે આરોપી ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ જેસીબીના ડ્રાઇવર સાથે બોલાચાલી કરી કાચ ફોડી નાખતા તેમને સમજાવવા જતા ગોવિંદસિંહે ઊંઘી કુહાડી મારી ઇજાઓ પહોંચાડી હતી. બન્ને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text