- text
આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડુ : હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીની જાહેરાત
મોરબી : છેલ્લા વીસેક કલાકથી સૌરાષ્ટ્રને ધમરોળી રહેલ વાવાઝોડું આગામી ત્રણેક કલાકમાં નબળું પડી રાજસ્થાન તરફ ફંટાઈ જશે તેવું હવામાન વિભાગના વડાએ જાહેરાત કરતા સૌરાષ્ટ્ર ગુજરાતને મોટી રાહત મળી છે.
હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ સમગ્ર રાજ્ય માટે રાહતરૂપ સમાચાર આપતા જણાવ્યું છે કે વાવાઝોડું તાઉતે આગામી ત્રણેક કલાકમાં નબળું પડી જશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે આગળ ધપી રહેલ વાવાઝોડું હાલમાં ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાઈ રહ્યું હોય ગુજરાત ઉપરથી મોટો ખતરો ટળ્યો છે.
- text
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ,જૂનાગઢ અને સૌથી વધુ ભાવનગર જિલ્લામાં તબાહીનું તાંડવ સર્જનાર વાવાઝોડું સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જો કે, વાવાઝોડાની અસરને લઈ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથ-સાથ અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે અને પ્રતિકલાક 45થી 50 કિમીની ઝડપે પવન ફુંકાશે. દરમિયાન હજુ પણ આગામી 24 કલાક સુધી વાવાઝોડાની અસર રહેશે અને આવતીકાલથી વાવાઝોડાનું સંકટ ઘટી જશે તેવું હવામાન વિભાગના સૂત્રોએ જાહેર કર્યું છે.
- text