લગ્નના બીજા દિવસે જ ફરજ પર હાજર થતાં વાંકાનેરના મહિલા પોલીસ કર્મચારી

- text


મહેંદી પણ ન સુકાઈ ત્યાંજ લોકડાઉનમાં ફરજ પર હાજર થતાં મહિલા પોલીસ કર્મીનું સમગ્ર સ્ટાફે અભિવાદન કર્યું

વાંકાનેર : કોઈપણ વ્યક્તિ માટે લગ્ન પ્રસંગથી નવા જીવનની શરૂઆત થતી હોય દાંમ્પત્યજીવન માટે અનેક અરમનો અને સપનાઓ હોય છે. પણ લગ્ન કરીને તમામ અરમાનો અને સપનાઓનો ત્યાગ કરીને આપત્તિ વખતે ફરજનિષ્ઠા જાળવી રાખે તે સાચો ફરજનિષ્ઠ કર્મચારી કહેવાય છે. આવી જ ફરજનિષ્ઠા વાંકાનેર તાલુકા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ દર્શાવી છે. જેમાં લગ્ન માટે ફક્ત એક જ દિવસની રજા રાખીને તેઓ બીજા દિવસે ફરજ પર હાજર થયા હતા. મહેંદી પણ ન સુકાઈ ત્યાં લગ્નના બીજા દિવસે લોકડાઉનની ફરજ માટે હાજર થતાં તેમની નિષ્ઠાપૂર્વકની ફરજ જોઈને તમામ સ્ટાફે તેમનું જોરદાર અભિવાદન કર્યું હતું.

- text

વાંકાનેર તાલુકા પોલીસના એલ.આર.ડી. પ્રફુલાબા (પુજાબા) હસુભા પરમારના લગ્ન ગત તા. ૧૭ મેં ના રોજ ટંકારા આર્યસમાજ ખાતે ફકત બાર પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. જોકે લગ્ન બાદ સામાજિક રીતરિવાજ અને નવા પરિવારમાં જવાનું હોવાથી આવા મહિલા પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી લગ્નની થોડા દિવસોની રજા મળતી હોય છે. પરંતુ આ મહિલા પોલીસ કર્મચારીએ પુજાબાએ હાલના કોરોના વાઈરસની મહામારીને લઈને લાગુ કરાયેલા લોકડાઉનમાં પોતાની પોલીસ તરીકેની જવાબદારી મહત્વની સમજીને લગ્નની સરકાર તરફથી મળેલી રજા ઉપર સ્વેચ્છાએ કાપ મુક્યો હતો. તેઓએ લગ્નની એક જ દિવસની રજા રાખી હતી. લગ્ન થયાં હોય મહેંદી પણ સુકાય ન હતી. તેમ છતાં તેઓ લગ્નના બીજા દિવસે સમયસર પોતાની પોલીસ તરીકેની ફરજ બજાવવા વાંકાનેર તાલુકા પોલીસ પર ફરજ પર હાજર થયા હતાં અને પોતાની અંગત જીવન કરતા પોતાની ફરજને પ્રાથમિકતા આપી હતી. જે અંગે વાંકાનેર તાલુકા પી.એસ.આઇ. આર. પી. જાડેજા અને સ્ટાફે મળી તેઓનું અભિવાદન કર્યું હતું .

- text