આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં રેશનકાર્ડ ધારકો અન્ય પુરાવા આપી અનાજ મેળવી શકશે

- text


મોરબી જિલ્લા નાગરિક પૂરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી.

મોરબી : મોરબી જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી. કલેકટર પટેલે રેશનકાર્ડ ધારકોને તા.૩૧/૦૩/૨૦૧૮ સુધી કેટલાક પૂરાવાઓ રજુ કરવાથી મળવા પાત્ર લાભો રેશનીંગની દુકાનેથી મળી શકશે તેમ જણાવ્યુ હતું.

- text

રાજ્ય સરકાર દ્વારા લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્યની તમામ વ્યાજબી ભાવની દુકાનોમાં તા.૩૧-૦૩-૨૦૧૮ સુધીમાં આધાર આધારિત વિતરણ વ્યવસ્થાનું અમલીકરણ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ લાભાર્થી મળવા પાત્ર લાભથી વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે. જેને લઈ આધાર આધારિત વિતરણ વ્યવસ્થાનો સંપૂર્ણપણે અમલથાય તે દરમ્યાન તા.૩૧-૦૩-૨૦૧૮ સુધી તદન હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાયવીંગ લાયસન્સ, ફોટો સાથે બેંક પાસબુક, પાસપોર્ટ, નરેગા કાર્ડ, કિશાન ફોટો પાસબુક, મામલતદાર દ્વારા આપેલ ઓળખ કાર્ડ, રાજપત્રીય અધિકારી દ્વારા આપેલ ઓળખ કાર્ડ, પોસ્ટ વિભાગ દ્વારા આપેલ એડ્રેસ કાર્ડ (ફોટો તથા નામ સાથે), એલપીજી ગેસ ગ્રાહકની બુક/ગ્રાહક નંબર, શૈક્ષણીક સંસ્થાનું પ્રમાણપ્રત્ર/જન્મનું પ્રમાણપત્ર તથા રાજય સરકાર અન્ય કોઈ ઓળખ કાર્ડ માન્ય કરેલ હોય તેવા પૂરાવા સાથે સંબધિત વ્યાજબી ભાવોની દુકાનેથી રેશનીંગનો જથ્થો મેળવી શકશે તેમ કલેકટરએ બેઠકમાં જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા પૂરવઠા અધિકારી દમયંતીબેન બારોટે જરૂરી વિગતો થી કલેકટરને માહિતીગાર કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા,જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પીન્કુબેન ચૌહાણ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, તથા સંબધિત સભ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

- text