- text
રાહત છાવણીમાં રહેલા લોકો પણ પોતાના ઘરે ચાલ્યા ગયા, સ્થિતિ પૂર્વવત્ત થઇ
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પરિણામે ઉદ્દભવેલી સ્થિતિ હવે ધીમેધીમે પૂર્વવત્ત થઇ રહી છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વરસાદને કારણે થયેલી નુકસાનીનું આકલન કરવા માટે ત્વરિત કાર્યવાહી થઇ રહી છે. તે દરમિયાન કલેક્ટરશ્રીની સૂચનાથી પશુમૃત્યુના કિસ્સામાં સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે. રાહત છાવણીમાં આશ્રય પામેલા લોકો પણ પોતાના ઘરે જવા લાગ્યા છે.
મોરબીની આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવાયું છે કે મોરબી જિલ્લામાં ગત્ત તારીખ ૧ના રોજ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ હતી. ટંકારા તાલુકામાં ૨૪ કલાકમાં ૨૮૦ એમએમ વરસાદ પડતા ભરાયેલા પાણીમાં ફસાયેલા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં કુલ ૧૫૨૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, તે પરિવારો તા. ૨ના સાંજ સુધીમાં પોતાના ઘરે પાણી સંપૂર્ણ પણે ઓસરી જતા સ્વૈચ્છાએ ચાલ્યા ગયા છે.
દરમિયાન, કલેક્ટરશ્રી દ્વારા પશુમૃત્યુના કિસ્સામાં તત્કાલ સહાય ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેની ત્વરિત અમલવારી કરી ટંકારા તાલુકામાં મૃત્યુ પામેલા ૧૮ પશુઓના મોતની ખરાઇ કરી કૂલ ૧૨ પશુપાલકોને કૂલ રૂ. ૪,૩૯,૦૦૦ની સહાય સ્થળ પર જ ચૂકવી આપવામાં આવી છે.
- text
- text