મોરબીના પાનેલી ગામ પાસે બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધો

- text


બનાવને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ખનીજચોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજમ કર્યો : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા : કડક કાર્યવાહી ના કરાય તો લાશ ના સ્વીકારવાની ચીમકી અપાઈ

મોરબી : મોરબીના પાનેલી ગામ પાસે આજે ખનીજ ચોરી કરીને માંતેલા સાઢની માફક ધસી આવેલા ટ્રકે એક વૃદ્ધનો ભોગ લેતા ગ્રામજનોમાં ખનીજચોરો સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. અને જ્યાં સુધી કલેકટર ખનીજચોરો સામે કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન કરવાની અને લાશ ન સ્વીકારવાની ચીમકી આપીને ચક્કાજામ કરી દીધો હતો જેના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી ગયા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પાનેલી ગામે રહેતા ખેડૂત મીઠાભાઈ હંસરાજભાઈ હડિયલ ઉ.વ.65 નામના વૃધ્ધ આજે ગામમાં આવેલી પોતાની વાડીએ કામ માટે જઈ રહ્યા હતા. ત્યારે પાનેલી રોડ પર ખનીજ ચોરી કરીને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે આ વૃદ્ધને હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે કમકમાટીભયું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ગ્રામજનો ખનીજ માફિયાઓ સામે રોષે ભરાયા હતા અને ગ્રામજનો પાનેલી રોડ પર એકઠા થઈને ચક્કાજામ કરી દીધો હતો. ખાસ્સો સમય સુધી ચક્કાજામ કરનાર ગ્રામજનોએ જ્યાં સુધી કલેકટર રૂબરૂ આવી ખનીજચોરો સામે કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી રસ્તા રોકો અદોલન ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે. આ બનાવને પગલે તાલુકા પોલીસે પાનેલી ગામે દોડી જઈને સલામતીના ભાગરૂપે ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દિધો છે. તેમજ મામલતદાર પણ ઘટનાસ્થળે દોડી જઈને આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. ત્યારે ચક્કાજામ કરતા ગ્રામજનોએ ભારે રોષ સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, પાનેલી ગામે તથા આજુબાજુમાં મોટા પ્રમાણમાં ખનીજચોરી થાય છે. ખનીજમાફિયાઓ ખનીજચોરી કરીને આડેધડ વાહનો ચલાવતા હોવાથી આજે ગામના નીદોષ વૃદ્ધનો ભોગ લેવાયો છે. ગ્રામજનોએ ખનીજચોરીને કડક હાથે ડામી દેવા તંત્ર સમક્ષ માંગ કરી છે. અને જ્યાં સુધી ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી વૃદ્ધની લાશ સ્વીકારવામાં આવશે નહીં. હાલ આ પરિસ્થિતિની વચ્ચે પોલીસે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text