અમદાવાદમાં રહેતા મોરબીના યુવાનની હત્યા કરાવી નાખતી પત્ની

- text


નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવા પતિ આડખીલી રૂપ બનતો હોય કાસળ કઢાવી નાખ્યું

મોરબી : મૂળ મોરબીના અને હાલ અમદાવાદમાં સ્કૂલ ચલાવતા પટેલ યુવાનનું તેની જ પત્નીએ નાની ઉંમરના પ્રેમીને પામવા કાસળ કઢાવી નાખતા સનસનાટી મચી ગઇ છે, આ ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી હત્યાનું કાવતરૂ રચનાર પત્ની અને તેના પ્રેમી તેમજ અન્ય એક યુવાન સહિત ત્રણની ધરપકડ કરી છે.

આ ચકચારી હત્યા કેસની વિગત જોઈએ તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ખારી કેનાલના પુલ નીચેથી એક વ્યકિતની સળગેલી હાલતમાં લાશ પડી હોવાના સમાચાર અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસને મળ્યા હતા. લાશના સમાચાર મળતાંની સાથે જ વિવેકાનંદનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસને એક યુવાને આપેલી બાતમીના આધારે પ્રાથમિક તપાસમાં આ લાશ મૂળ મોરબીના ચકમપર ગામના અને હાલ અમદાવાદ પરિવાર સાથે રહેતા હરેશ શાંતિલાલ કાલરીયા (ઉ.37)ની હોવાનું બહાર આવ્યું હતું.

જયારે આ બનાવની તપાસમાં મૂળ મોરબીના અને હાલ અમદાવાદમાં સ્કૂલ ચલાવતા પટેલ યુવાનનું તેની જ પત્નીએ નાની ઉંમરના પ્રેમીને પામવા કાસળ કઢાવી નાખ્યું હતું. આ ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી હત્યાનું કાવતરૂ રચનાર પત્ની અને તેના પ્રેમી તેમજ અન્ય એક યુવાન સહિત ત્રણની ધરપકડ કરી છે.

આ મામલે વિવેકાનંદનગર પોલીસએ જણાવ્યું હતું કે, હત્યા કરનાર મુખ્ય આરોપી ૨૨ વર્ષીય નીતિન ઓઢવ વિસ્તારમાં આવેલ અર્બુદાનગરમાં તેનાં માતા પિતા સાથે ભાડાનાં મકાનમાં રહે છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. નીતિન મરાઠીએ કબુલાત કરી હતી કે તેના પડોશમાં રહેતી મૂળ મોરબીની ૩૫ વર્ષીય રેખા નામની પરિણીત યુવતી સાથે તેના પ્રેમ સંબધ હતા. રેખા તેના પતિ હરેશભાઇ અને બે બાળકો સાથે છેલ્લા ઘણા સમયથી રહે છે અને હરેશભાઇ નરોડા વિસ્તારમાં આવેલી સ્કૂલના ટ્રસ્ટી છે.

- text

દરમિયાન, રેખાને નીતિન સાથે દોસ્તી થઇ હતી. એક વર્ષ પહેલાં રેખા અને નીતિનની દોસ્તી પ્રેમમાં બદલાતાં તેઓએ થોડાક દિવસો પહેલાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને લગ્ન કરે તો અડચણરૂપ થાય એવા હરેશભાઇનો કાંટો કાયમ માટે કાઢવા નીતિન અને રેખાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે તેના મિત્ર દર્શિલ પંડ્યાની મદદ માગી હતી પ્લાન અનુસાર નીતિને હરેશભાઇ સાથે દારૂની પાર્ટી કરવા માટે હાથીજણ ખારી કેનાલ બ્રિજ નીચેનું સ્થળ નક્કી કર્યું હતું. બંને જણા બાઇક લઇને હાથીજણ જવા માટે નીકળ્યા હતા.

નીતિન પાસે એક બેગ હતી. જેમાં દારૂની બોટલ, છરી અને મરચાંની ભૂકી હતી. રસ્તામાં નીતિને તેના મિત્ર દર્શિલને પણ સાથે લઇ લીધો અને ત્રણેય જણા બ્રિજની નીચે પહોંચ્યા. ત્રણેય જણાએ પાર્ટી શરૂ કરીને થોડાક સમય પછી નીતિને હરેશભાઇની છાતીમાં એક છરીનો ઘા ઝીંકી દીધો. હરેશભાઇ જમીન પર ઢળી પડતાં નીતિને તેમની પર ઉપરાછાપરી પથ્થરો મારીને મોં છૂંદી નાખ્યું અને પીઠ પર ઉપરાછાપરી ૨૫ થી વધુ છરીના ઘા ઝીંકી દીધા. હરેશભાઇનું મોત થતાં નીતિને બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું અને તેમની લાશ પર છાંટીને સળગાવી દીધી હતી.

વિવેકાનંદ નગર પોલીસે આ મામલે નીતિન, રેખા તેમજ દર્શિલની ધરપકડ કરી છે. હરેશભાઇની હત્યા કરવા માટે નીતિન રેખા સાથે પ્લાન બનાવીને ચોટીલા ગયો હતો. જ્યાં તેણે એક દુકાનમાંથી ધારદાર છરી ખરીદી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ પોલીસે મૂળ મોરબીના ચકમપર ગામના તેમેજ મોરબીના રાજકીય આગેવાન જયેશભાઇ કાલરિયાના ભાઈ હરેશ શાંતિલાલ કાલરીયા (ઉ.37)ની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલી હત્યાનું કાવતરું કરનાર પત્ની અને તેના પ્રેમી સહીત ત્રણ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text