મોરબીમાં મોરારીબાપુની રામકથા માટે તાડામાર તૈયારીઓનો ધમધમાટ

- text


ઝૂલતાપૂલની દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે 30મીથી રામકથા : કથા સ્થળે શ્રાવકો માટે 1 લાખ ચોરસ ફૂટનો જર્મનનો વોટરપ્રુફ ડોમ, ભોજન વ્યવસ્થા માટે 50 હજાર ફૂટનો પણ વોટરપ્રૂફ ડોમ તૈયાર

કથા સ્થળે 60 વિઘાની જમીન પર પ્રસાદ વ્યવસ્થા અને ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો

મોરબી : મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 દિવગંતો મોક્ષાર્થે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી મોરારીબાપુની ભવ્ય રામકથા યોજાશે. મોરારીબાપુની ભવ્ય રામકથાના આયોજનની તૈયારીઓનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. રામકથાના પ્રારંભે એટલે 30 તારીખે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના યજમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાના નિવાસસ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નીકળી રવાપર રોડ બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ, દલવાડી સર્કલ અને વાવડી ચોકડીથી થઈ રામકથાના સ્થળ કબીરધામ પહોંચશે. આ પોથીયાત્રામાં 21થી વધુ ઘોડાઓ, અલગ અલગ પાલખીઓ, પોથી માટેની બગીઓ, બાળકો વેશભૂષા, ગામો ગામથી ધૂન મંડળો સજાવેલા ટ્રેક્ટરો સાથે અંદાજે 5 હજારથી વધુ લોકો જોડાશે. સાંજે 4 વાગ્યે કથા સ્થળે પોથીયાત્રા પહોંચી ગયા બાદ કથાની શરૂઆત થશે અને દદરોજ સવારે 9-30થી બપોરે 1-30 વાગ્યા સુધી કથા ચાલશે.

કથા સ્થળે 60 વિઘાની જમીન પર પ્રસાદ વ્યવસ્થા અને ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કથા સ્થળે લાખો લોકો બેસી શકે તેવો 1 લાખ ચોરસ ફૂટનો જર્મનનો વોટરપ્રુફ ડોમ તેમજ બીજો ભોજન વ્યવસ્થા માટે 50 હજાર ફૂટનો પણ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યો છે. વરસાદ આવે તો પણ તકલીફ ન પડે. ડેઇલી 20 હજારથી વધુ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. કથામાં દરરોજ દેશભરના મહામંડલેશ્વર સાધુ સંતો હાજર રહેશે. કથાના આયોજન માટે 21 ભોજન, કથા શ્રવણની વ્યવસ્થા સહિત અલગ અલગ કમિટીની રચના કરાઈ છે. ઝૂલતાપૂલના દિવગતોની આત્માની શાંતિ માટે કથા દરમિયાન દરરોજ નવે નવ દિવસ આજુબાજુના પાંચ કિમિ ચબુતરામાં પક્ષીઓને ચણ, શ્વાનો માટે લાડુ અને ગાયોને ઘાસચારો નાખવામાં આવશે. કથા દરમિયાન દરેક પ્રકારની વ્યવસ્થા માટે અંદાજે 150થી વધુ ગામના 9 હજારથી વધુ સ્વંય સેવકોની ટીમ ખડેપગે રહેશે. કથા દરમિયાન 1500થી વધુ ગાડીઓ અને 4 હજારથી વધુ મોટરસાયકલ પાર્ક થઈ શકે તેવી પાંચ જગ્યાએ અલાયદી પાર્કિગ વ્યવસ્થા કરાઈ છે. કથાના આયોજન માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિત 21 યજમાનો છે. જે સમગ્ર કથાનું આયોજન કરી રહ્યા છે. દરરોજ કથા બાદ સાંજે 4થી 7 વાગ્યા સુધી નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી સહિતના કાર્યક્રમો રજૂ થશે

- text

- text