ઘુંટુ ગામે કલેકટર અને ધારાસભ્યની હાજરીમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

- text


માતૃભૂમિ પ્રત્યેનું ઋણ ચૂકવવાના કાર્યક્રમમાં સહભાગી બન્યા ઘુંટુના ગ્રામજનો : શિલાફલકમ્, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદન કાર્યક્રમ યોજાયા

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના ઘુંટુ ગામે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ હળવદ-ધ્રાગંધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો આ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય પણ આ કાર્યક્રમમાં અનેરા ઉત્સાહ સાથે સહભાગી બની રહ્યું છે. જે અંતર્ગત આપણા મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે મોરબી જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે હેઠળ કળશમાં દરેક ગામની માટી એકત્ર કરવામાં આવશે આ કળશ ૧૭ તારીખે વાજતે-ગાજતે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. જ્યાંથી પાંચ તાલુકામાંથી પાંચ કળશ રાષ્ટ્ર કક્ષાએ દિલ્હી લઈ જવામાં આવશે અને ત્યાંની અમૃત વાટિકામાં આ કળશ અર્પણ કરવામાં આવશે. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આપણને મળેલી આઝાદી ત્યારે જ સાર્થક થાય જ્યારે આપણે સુરક્ષા માટે કાર્યરત વિવિધ પાંખોના રક્ષા વીરોનું સન્માન કરીએ.

આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે ૨૦૪૭ માં આપણો ભારત દેશ વિકસિત હશે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણું ભવિષ્ય ઉજળું બનાવનાર નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આઝાદી પાછળ સંઘર્ષ કરનાર વીરોની વીરગતિ યાદ કરવાના આશય સાથે સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.

આ પ્રસંગે કલેકટર, ધારાસભ્ય સહિતનાઓએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી અને કળશમાં માટી અર્પણ કરી કલેકટર તેમજ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ આ કળશ ગામના સરપંચના પ્રતિનિધી દેવજીભાઈ પરેચાને અર્પણ કર્યો હતો. ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત શિલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુધા વંદન અને રાષ્ટ્ર વંદન સાથે ધ્વજ વંદન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.હાથમાં દિપક લઈ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ કરીશું, ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીશું, આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું અને તેનું જતન કરીશું, આપણા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું, રાષ્ટ્ર પ્રત્યેની અમારી અતૂટ ફરજો પુનઃપુષ્ટિ કરી પાલન કરીશુંની પ્રતિજ્ઞા લીધી હતી અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સાથે હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ ઝાલા મામલતદાર નિખિલ મહેતા, નાયબ મામલતદાર સંજય બારૈયા, શાળાના આચર્ય મનિષાબેન સાણંદિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text