ભ્રષ્ટાચારીઓને કોના આશીર્વાદ ? શિષ્યવૃતિ હડપ કરનાર શિક્ષકો વિરુદ્ધ FIR બાદ પણ ફરજ મોકૂફી નહિ !

- text


તંત્રના તપાસના નર્યા નાટક વચ્ચે શિક્ષણ જગતને કલંકિત કરનાર વાંકાનેરના કૌભાંડિયા હજુ પણ ફરાર

મોરબી : સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરનાર વાંકાનેર તાલુકાના ભ્રષ્ટ શિક્ષકો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાયાના મહિનાઓ બાદ પણ આ સરકારી બાબુ આરામથી નાસતા ફરી રહ્યા છે અને જવાબદાર તંત્ર દ્વારા આ કૌભાંડીઓ વિરુદ્ધ ફરજ મોકૂફીના પગલાં ન લેવાતા સરકારના જ પૈસા હજમ કરી જનારાઓ હાલમાં દરમહીને સરકારનો પગાર પણ મેળવી રહ્યા છે ત્યારે આ કૌભાંડી શિક્ષકોને કોના આશીર્વાદ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – 2017થી વર્ષ 2020 સુધી લાખો રૂપિયાનો થયેલ ભ્રષ્ટાચાર સંદર્ભે છેલ્લા ચારેક માસથી અધિકારીઓએ તપાસ કરી હતી,તમામ શાળાઓના નાણાંકીય રેકર્ડ, આરોપીઓ તેમજ એમના સગા વ્હાલા કે જેમના ખાતામાં સરકારી નાણાં જમા કરેલ હતા એમના તમામ બેંકોના,તમામ ખાતાઓના સ્ટેટમેન્ટ,તાલુકા પંચાયતના બિલો વગેરે તપાસ કરી લીધા બાદ જેમના ખાતામાં સરકારી નાણાં અનધિકૃત રીતે તેર જેટલા લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરેલ હતા એમને તથા એ વખતના તાલુકાના વહીવટી અધિકારીઓ એમ સોળ જેટલા લોકોના નવમી મેં ના રોજ નિવેદનો લીધા બાદ અખબારમાં આવેલા અહેવાલો બાદ વર્ષ-2017 થી 2020 સુધી તાલુકા પંચાયતમાં વહીવટી કામગીરી કરતા માત્ર ત્રણ શિક્ષકો અબ્દુલ શેરસિયા,અરવિંદ પરમાર હિમાંશુ પટેલને ભ્રષ્ટાચાર બાબતે જવાબદાર ઠેરવી ગત ત્રીજી જૂનના રોજ ફોજદારી રાહે ગુનો નોંધાયા બાદથી ત્રણ આરોપીઓ ગુમ થઈ ગયેલ છે.

- text

પણ અહીં સવાલ એ છે કે ત્રણેય સરકારી શાળાના શિક્ષકો હોય,વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ એને પણ દોઢ માસ જેટલો સમય વીતી ગયો છે એમની રજાઓનું શું?રજા રિપોર્ટ મુક્યા કે કેમ? રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે,સરકારી નોકરિયાત આરોપીઓને પોલીસ પકડી શકતી નથી કે પકડવામાં ઢીલી નીતિ રાખી રહી છે ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.બાળકોના રૂપિયા ખાઈ જનાર પર અધિકારી પદાધિકારીઓના આશીર્વાદ વરસી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

નિયમ મુજબ સરકારી કર્મચારી વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાય એટલે તાત્કાલિક એમને ફરજ મોકૂફ કરવા જોઈએ પણ હજુ સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ત્રણેય આરોપીઓને કેમ ફરજ મોકૂફ નથી કરાયા એ યક્ષ પ્રશ્ન છે? શુ ફરજ મોકૂફ ન કરવા પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે કે પછી કોઈ દબાણ છે ? તેવા અનેક સવાલો શિક્ષક આલમમાં જ ઉઠવા પામ્યા છે.

- text