મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવ : તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી

- text


આ વર્ષે લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં વિશાળ ગ્રાઉન્ડમાં તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક અને સુરક્ષિત માહોલમાં રાસ ગરબે રમી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

રજિસ્ટ્રેશન વગર તમામ જ્ઞાતિની બહેનોને ફ્રી એન્ટ્રી

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા એક હજાર બહેનોને રાસ ગરબાના તમામ સ્ટેપ્સની તાલીમ અપાઈ 

બે વર્ષ બાદ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન અને અર્વાચીન રાસોસ્તવમાં મન મુકીને ઝૂમવા યુવાનોમાં અનેરો થનગનાટ

મોરબી : મોરબીમાં સર્વધર્મ સમભાવ થકી દરેક સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહી સામાજિક સ્તરેથી રાષ્ટ્ ભાવના જાગૃત કરતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં કોઈપણ ભેદભાવ વગર નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા 14 વર્ષથી યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવને છેલ્લા બે વર્ષથી કોરોનાનું વિઘ્ન નડ્યા બાદ આ વખતે મુક્ત વાતાવરણ હોવાથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું નવી જગ્યાએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની અને તમામ જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે. તેમજ આ વર્ષે યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા નવી જગ્યા લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને સમાજ ઉપયોગી થવા માટે કંઈક અનોખું કરવાની પરંપરા શરૂ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ સમગ્ર શહેરનું રોલ મોડલ બની ગયું છે. જન્મદિવસની ઉજવણી હોય કે ધાર્મિક અને સામાજિક કર્યાની પ્રેરણાદાયી ઉજવણી કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ સામાજિક ક્રાંતિ કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે નવરાત્રી મહોત્સવમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ ધમાકેદાર આયોજન કરી સર્વધર્મ સમભાવનો મેસેજ આપ્યો છે. તેમજ તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો હોય ત્યારે છેલ્લા 14 વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આવતીકાલે 26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નહીં પણ પરંતુ આખા ગુજરાતમાં પ્રથમ વખત તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે.

અર્વાચીન રાસોત્સવમાં મન મુકીને રાસ ગરબે ઝૂમવાની દરેક બહેનોની ઈચ્છા હોય છે. પરંતુ મોંઘી ટિકિટ હોવાને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય બહેનો મોટા અર્વાચીન રાસોત્સવમાં લાભ લઈ શકતા ન હતા. ત્યારે તમામ જ્ઞાતિની બહેનો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સુરીક્ષિત અને પારિવારિક માહોલમાં રાસ ગરબે ઝૂમી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોરોના કાળ પહેલા માત્ર રજિસ્ટ્રેશનથી જ બહેનોને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવતી હતી. પણ ઘણીવાર બહેનો રજિસ્ટ્રેશન કરવાનું ભૂલી જતી હોય ત્યારે તેમને ફ્રી એન્ટ્રી મળતી ન હતી. પણ આ વખતે કોઈ રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું નથી. તમામ જ્ઞાતિની અને તમામ વિસ્તારની અને તમામ વ્યજૂથની બહેનોને રજિસ્ટ્રેશન વગર જ સંકલ્પ નવરાત્રી મહોત્સવ વિનામૂલ્યે એન્ટ્રી મળી જાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. આમ તમામ જ્ઞાતિની બહેનો ભક્તિભાવથી માતાજીની આરાધના કરી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવમાં બહેનો સુરક્ષિત વાતાવરણમાં રમી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વિશાળ સ્ટેજ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, તેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળા, પરિવાર સાથે તેમજ જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત દરરોજ વિજેતા પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે.

- text

સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ હમેશા દરેક સામાજિક ભાવનાને પ્રેરણાદાયી રીતે નિભાવીને સમગ્ર સમાજને હકારાત્મક દષ્ટિકોણ અપનાવવાનું પ્રેરણાબળ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દેશભાવના રંગે રંગાયેલું હોવાથી સર્વ સમાજ પ્રત્યે સમભાવની ભાવનાનો ખૂબ આદર કરે છે. આ માટે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સર્વ સમાજની બહેનો માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે. આ આયોજન પ્રોફેશનલ હેતુ માટે નહીં પણ દરેક સમાજના લોકો કોઈ પણ ભેદભાવ વગર એક જ જગ્યાએ પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આયોજનમાં ખાસ સલામતી અને બહેનો મુક્તપણે રાસ ગરબે રમી શકે તેની વિશેષ તકેદારી રાખવામા આવી છે.

દેવેનભાઈએ ઉમેર્યું હતું કે, દર વખતે રાસ ગરબામાં અવનવા સ્ટેપ્સ આવતા હોય દરેક વર્ગની બહેનોમાં આ નવા સ્ટેપ્સ સાથે રાસ ગરબે ઘુમવાનો ભારે ક્રેઝ હોય છે. પણ મોંઘા દાડિયા કલાસીસની ફી સામાન્ય અને મધ્યમવર્ગીય બહેનોને પરવડતી હોતી નથી. એટલે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાસ ગરબાના કલાસીસનું આયોજન કરાયું હતું. જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. રાસ ગરબાના સ્ટેપ્સ શીખવા માટે 1 હજાર મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આથી ત્રણ જગ્યા જેમાં ઓમ શાંતિ સ્કૂલ સામે વિભૂતિ હોલ, પી.જી.પટેલ કોલેજ અને રવાપર રોડ ઉપર આવેલ યુનિક એકેડમીમાં 15થી તજજ્ઞો દ્વારા 1 હજાર જેટલી મહિલાઓને રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ મહિલાઓમાં ઉત્સાહ એટલો હતો મેં તમામ નાની વયની બાળા, યુવતી અને મહિલાઓ બહુ જ ટૂંકાગાળા જુના અને નવા રાસ ગરબાના તમામ સ્ટેપ્સની પદ્ધતિસરની તાલીમ મેળવી હતી. હવે આ મહિલાઓ જ નહીં અન્ય તમામ ધર્મની મહિલાઓ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી સાથે રાસ ગરબે રમવા આતુર છે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં સુરક્ષિત અને પારિવારિક મહોલ રહે તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે તમામ વર્ગની બહેનો મુક્તપણે રાસ ગરબા રમવાનો આનંદ માણી શકશે. સાથેસાથે સમાજ ઉપયોગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. માતાની ભક્તિ સાથે સામાજિક ચેતના જગાવતા જનજાગૃતિ લક્ષી કાર્યક્રમો કરશે. તેમજ દર વખતે પહેલા જગત જનની માં જંગદબાની આરતી બાદ ભારત માતાની આરતી કરવામાં આવશે. એકંદરે સંકલ્પ નવરાત્રી મહોત્સવ માતાજીની ભક્તિની પ્રવિત્રતા જળવાઈ તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમ અંતમાં દેવેનભાઈએ જણાવ્યું હતું.

- text