મોરબીમાં ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું સફાઇકર્મીઓના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન

- text


લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ

મોરબી : મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના અનુદાનમાંથી ૩૦ લાખ રૂપિયાના ખર્ચે ઉપલ્બધ થયેલ આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ મોરબી જનરલ હોસ્પિટલને લોકાર્પણ કરવામાં આવી હતી.

ગત શુક્રવારના સવારે આયોજિત લોકાર્પણ સમારોહમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં કબીરધામ જગ્યાના મહંત શીવરામદાસ બાપુ તેમજ અગ્રણી ડૉ. જયંતીભાઇ ભાડેસીયાએ એમ્બ્યુલન્સની ચાવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. દુધરેજીયાને અર્પણ કરી હતી તેમજ સફાઇ કર્મચારીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ૩૦ લાખ રૂપિયાના ખર્ચે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓમાં નારાયણના દર્શન કરીને તેમની વધુ સારવાર અને સુશ્રુષા કરવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડે છે ત્યારે આ એમ્બ્યુલન્સ દર્દીઓને વધુ ઉપયોગી થશે.આ પ્રસંગે કબીરધામના મહંત શીવરામ બાપુ અને અગ્રણી જયંતીભાઇ ભાડેસીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

આ તકે હળવદ વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. દુધરેજીયા, તેમજ અગ્રણી સર્વે જયંતીભાઇ પડસુંબીયા, સુરેશભાઇ દેસાઇ, નગરપાલિકાના સદસ્યો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text