- text
કુપોષણ મુક્ત ગુજરાત નિર્માણ અંતર્ગત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિ
માળીયા (મી.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં પોષણ અભિયાનથી કુપોષણ મુક્ત ગુજરાતનું નિર્માણ અંતર્ગત દાતાઓના સહયોગથી કુપોષણ બાળકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માળીયા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત સમાંરભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કુપોષીત બાળકોની કીટનું વિતરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણ બાબતને ગંભીરતાથી લઇ કુપોષણને નાથવા માટે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના ૪૦ બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માળીયા તાલુકાના લાભાર્થીઓને અન્નપૂર્ણા કીટનું પણ વિતરણ કરવામાં આવી રહી છે.
વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાને અમુક ગામોમાં પ્રતિનિધિઓ દ્વારા પીવાના પાણીની તકલીફ હોવાની ફરિયાદ મળી હોવાથી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલીક નિવારણ લઇ પરિણામલક્ષી આયોજન કરવા તાકીદ કરી હતી. કોઇપણ ગામ પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહે તે માટે અમે કટિબદ્ધ હોવાનો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સુર વ્યક્ત કર્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી કોંઢીયા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text