ટંકારામાં એસ.ટી. બસ સ્ટેશનનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ

- text


બે દશકા બાદ બસ સ્ટેશનની માંગ સંતોષાતા ખુશીની લહેર : પ્રભારી મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર સહિતના હોદ્દાદારો, સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ટંકારા : ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે બે દશકા પછી 45 ગામડાના મુસાફરોની માંગ સંતોષાતા ખુશીની લહેર છવાઈ છે. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર સહિતના હોદ્દાદારો, સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી અગાઉ જાહોજલાલી અને સવલતોથી સભર ટંકારા તાલુકામાં બે દશકા પૂર્વે મુસાફરી કરવા માટેનુ એસ.ટી. સ્ટેન્ડ છીનવાઈ ગયુ હતું પરંતુ ટંકારામાં શનિવારે સોનાનો સુરજ ઊગ્યો હોય એમ એક સાથે વર્ષો જુની બે માંગણી સંતોષવામાં આવી છે.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ્દ હસ્તે કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 166.53 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ટંકારા ઉપરાંત સરા, ગોંડલ તેમજ સાયલાના નવનિર્મિત કુલ 951 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ટંકારા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મોરબીના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ ઉપરાંત સાંસદ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, એસ.ટી.ના વિભાગીય નિયામક જે.બી. કડોતરા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ તેમજ એસ.ટી. વિવિધ યુનિયનના હોદ્દાદારો, કર્મચારીઓ સ્થાનિક અગ્રણી પ્રભુ કામરીયા કિરીટ અંદરપા ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી રૂપસિંહ ઝાલા તેમજ ટંકારાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ ટંકારા તાલુકાના લોકોની વર્ષો જુની માંગણી હતી કે ભાજપ તેની તાલુકા કક્ષાનું કાર્યાલય ખોલે, કે જ્યાં પ્રજાજનો એના પશ્ર્નો અને રજુઆત માટે મળી શકે, જે માંગણી પણ પૂર્ણ થઇ હતી.

- text

કાર્યક્રમના અંતે અગ્રણીઓએ સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ અને ગુરૂકુલ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી. જ્યાં આચાર્ય રામદેવજી અને રમેશભાઈ મહેતાએ આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીના જીવનની આછેરી માહિતી આપી હતી. આ તકે સુરેન્દ્રનગરના સાંસદ ડો. મુંજપરાએ બાલ્ય અવસ્થામાં અભ્યાસકાળ દરમિયાન વિશ્વ વિખ્યાત વિનટેક્ષ બોલપેન, જે ટંકારામાં બનાવવામાં આવતી એ વાત યાદ કરી હતી. જેથી સૌ ટંકારાવાસીઓ ચોંકી ઉઠ્યા હતા.

- text