- text
રાજ્યમંત્રીએ ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ રૂપિયાની સંપૂર્ણ ગ્રાન્ટ આરોગ્ય ક્ષેત્રે વાપરવાનો નિર્ણય કર્યો
મોરબી : રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જેતપર (મ.) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક-એક એમ્બ્યુલન્સ અંદાજે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવી છે.
કોવીડની ત્રીજી લહેરને નિયંત્રીત રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી અંતંર્ગત મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી.
મોરબીના ભરતનગર તેમજ જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોવીડ-૧૯ની અસરને નિયંત્રીત કરવા માટે આરોગ્ય વિભાગ હસ્તકની સેવાઓ વધુને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે ત્યારે ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અંદાજે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ રૂપિયાની સંપૂર્ણ ગ્રાન્ટ આરોગ્ય ક્ષેત્રે વાપરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત ભરતનગર અને જેતપર (મ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાળવાયેલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત અહીંના વિસ્તારના આસપાસના ગામોના નવનિયુક્ત સરપંચોના પણ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યા હતા. મંત્રીએ આ પ્રસંગે સરકારના ધારાધોરણોને અનુસરવા લોકોને અનુરોધ કર્યો હતો.
- text
મોરબીના ભરતનગર અને જેતપર (મ) ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અરવિંદભાઇ વાંસદડીયા, જિગ્નેશભાઇ કૈલા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, મામલતદાર જી.એચ. રૂપાપરા સહિતના અધિકારીઓ, પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- text