રાજકોટ-વાંકાનેર સ્ટેશન ઉપર મુસાફરોની સુવિધા વધારતા વિવિધ કામોનું સાંસદ મોહનભાઈના હસ્તે લોકાર્પણ

- text


એસ્કેલેટરની સુવિધા સાથે રાજકોટ બન્યું સૌરાષ્ટ્રનું પ્રથમ રેલવે સ્ટેશન

વાંકાનેર: સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાના હસ્તે આજે રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે રાજકોટ અને વાંકાનેર સ્ટેશનની વિવિધ પેસેન્જર સુવિધાઓના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈને સાંસદ મોહનભાઈ કુંડારીયાનું સ્વાગત કર્યું હતું. તેમણે સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા રેલ્વે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે આશરે રૂ.23.66 કરોડના ખર્ચે પેસેન્જર સુવિધાઓના કામોનું લોકાર્પણ કરાયું હતુ.જેમાંથી રાજકોટ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓનો ખર્ચ આશરે રૂ.21.29 કરોડ છે અને વાંકાનેરમાં મુસાફરોની સુવિધાનો ખર્ચ રૂ.2.37 કરોડ છે.

જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ સ્ટેશન એસ્કેલેટરની સુવિધા ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ સ્ટેશન બન્યું છે. રાજકોટ સ્ટેશન પર ત્રણ એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.જેમાં પ્લેટફોર્મ નંબર 1 પર બે એસ્કેલેટર અને પ્લેટફોર્મ નંબર 2/3 પર એક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.આ ઉપરાંત પ્લેટફોર્મ નં. 2/3 પર વધુ એક લિફ્ટની સુવિધા આપવામાં આવી છે.જેની ક્ષમતા એક સમયે 20 વ્યક્તિઓની છે. સ્ટેશન બિલ્ડિંગનો પુનઃવિકાસ કરવામાં આવ્યો છે.અને અગ્રભાગમાં સુંદર લાઇટિંગ આપવામાં આવી છે.પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર નવી કોચ ઈન્ડિકેટરસિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.જેથી મુસાફરો તેમના કોચ વિશે સરળતાથી માહિતી મેળવી શકે.પ્લેટફોર્મ નંબર 1/2 અને 3 પર નવી ક્વિક વોટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી ઓછા સમયમાં ટ્રેનના કોચમાં પાણી ભરી શકાય.

વાંકાનેર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને સરકુલેટિંગ એરિયામાં બે નવનિર્મિત પેસેન્જર લિફ્ટ આપવામાં આવી છે.અને પ્લેટફોર્મ નંબર 2 પર કવર શેડનો વિસ્તાર કરવામાં આવ્યો છે.સાંસદ દ્વારા વાંકાનેર સ્ટેશનના મુસાફરોની સુવિધાના કામોનું ઈ-લોકાર્પણ રાજકોટથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા તમામ રેલવે મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.1200 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. તેમણે રાજકોટ સ્ટેશન પર ઉપલબ્ધ મુસાફરોની સુવિધાઓ અને સ્વચ્છતાની ખૂબ પ્રશંસા કરી હતી.

- text

કાર્યક્રમના અંતે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) રાજકુમાર એસ,સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અર્જુન શ્રોફ, સિનિયર ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર એચ.એસ.આર્ય, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (કોચિંગ) અસલમ શેખ, રેલવેના અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ, શહેરના નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text