મોરબીમાં 43 કેમિકલ પદાર્થના ધંધાર્થીઓને ફાયર સેફટી મામલે નોટિસ ફટકારાઈ

- text


3 દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ બનાવવા તાકીદ : અમદાવાદમાં કેમિકલ ફેકટરીમાં આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે આપેલા આદેશને પગલે પાલિકાની કાર્યવાહી

મોરબી : અમદાવાદની કેમિકલ ફેકટરીમાં આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના તપાસના આદેશને પગલે મોરબી નગરપાલિકા હરકતમાં આવી હતી અને નગરપાલિકા તંત્રએ ચેકિંગ હાથ ધરીને ફાયસ સેફટીની સુવિધા ન હોવા મામલે 43 કેમિકલ પદાર્થના ધંધાર્થીઓને નોટિસ ફટકારી છે. ત્યારે તંત્ર આ મામલે માત્ર નોટિસ આપીને કાર્યવાહી કર્યાનો ઓડકાર ખાશે કે ખરેખર નક્કર કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.

- text

અમદાવાદમાં થોડા દિવસ પહેલા કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે કેમિકલ વસ્તુઓ વેંચતા ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતરવાની કડક સૂચના આપી હતી. જેના પગલે મોરબી નગરપાલિકાની ખાસ ટીમ દ્વારા શહેરમાં કેમિકલ પર્દાથનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ધંધાર્થીઓ સરકારના ધારા ધોરણ મુજબ લાયસન્સ ધરાવે છે કે નહીં કે ગેરકાયદે કેમિકલ પ્રદાર્થ વેચે છે, તે અંગેની સઘન તપાસ કરવામાં આવી હતી. મોરબીમાં આવા 43 ધંધાર્થીઓ છે. જેની પાસે ફાયરની સુવિધાઓ છે કે નહીં તે અંગે તપાસ કરીને આ અંગે બેદરકારી. ખુલતા કેમિકલના ધંધાર્થીઓને ત્રણ દિવસમાં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે નોટિસ ફટકારી છે. તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું.

 

- text