કોરોનાનું સંક્રમણ વધતા નિયમોની કડક અમલવારી માટે હળવદ પોલીસ એક્શન મોડમાં

- text


નિયમો તોડતા લોકો પર કડક હાથે કાર્યવાહી કરાશે : પી.આઈ. દેકાવાડિયા

હળવદ : દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ ફેલાઈ રહ્યું છે. જેને કારણે રાજ્યના કેટલાક શહેરોમાં રાત્રી કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યું છે. ત્યારે હળવદમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેથી, ગઈકાલે હળવદ પોલીસ દ્વારા કોરોનાના નિયમોને તોડનાર લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૭ જેટલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ આ કાર્યવાહી આગામી દિવસોમાં વધુ અસરકારક બનાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

તહેવારો બાદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે હળવદ પોલીસ દ્વારા શહેરના સરા નાકા પાસે માસ્ક બાંધ્યા વગર ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ પોલીસ દ્વારા આવતા દિવસોમાં પણ જે લોકો નિયમોને ગણકારતા નથી. તેઓ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ હળવદ પી.આઈ દેકાવાડીયાએ જણાવ્યું હતું.

ભાજપના પાલિકા સદસ્ય માસ્ક વગર નિકળતા પોલીસની ઝપટે ચડી ગયા

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ખાસ કરીને પહેલા તો બહાર નીકળતા સમયે માસ્ક બાંધવું ખૂબ જરૂરી છે. ત્યારે ગઈકાલે હળવદ સરા નાકે પોલીસ દ્વારા માસ્ક બાંધ્યા વગર જે વાહનચાલકો ફરી રહ્યા હતા તેઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. તે વેળાએ હળવદ ભાજપના પાલિકા સદસ્ય પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા અને પ્રથમ તો આનાકાની કર્યા બાદ આખરે પોલીસે દંડ વસૂલ્યો હતો.

- text

હળવદમાં રવિવારે કોરોનાએ પણ રજા રાખી!

આમ તો દિવાળીના તહેવાર ગયા બાદ હળવદમાં દરરોજ પાંચથી છ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે ખરેખર તો જે કેસ નોંધાય છે. તેના સાચા આંકડા બહાર આવતા જ નથી તે વાત જગજાહેર છે. ત્યારે રવિવારે હળવદમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી નોંધાયો. તે સારી વાત કહી શકાય. જો કે દર રવિવારે હળવદમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ મોટાભાગે નોંધાતો નથી. એટલે કહી શકાય કે રવિવારે કોરોના પણ રજા રાખતો હશે. ગઈકાલ તા. 22 સુધીની વાત કરીએ તો હળવદમાં સરકારી ચોપડે ૨૨૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જેમાં ૧૧ના મૃત્યુ થયા છે અને ૧૯૯ દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે હાલ ૧૮ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

 

- text