મોરબીમાં બીજા દિવસે પણ ફરસાણ-મીઠાઈની દુકાનો ખોલાવી વાસી જથ્થાનો નાશ કરાયો

- text


દુકાનો બંધ હોવા છતાં તંત્ર દ્વારા દુકાનદારો પાસે દંડ વસુલવાની નીતિ સામે રોષ

મોરબી : હાલમાં કોરોના વાયરસના પગલે દેશભરમાં બીજીવખત લોકડાઉન ચાલી રહ્યું છે. પ્રથમ લોકડાઉનથી જ તમામ હોટેલ-રેસ્ટોરન્ટ તથા મીઠાઈ-ફરસાણની દુકાનો બંધ છે. આથી, ખાણીપીણીની દુકાનોમાં રહેલો માલનો જથ્થો બગડી ગયો હોવાની સંભાવના છે. તેથી, આવા અખાદ્ય જથ્થાનો નાશ કરવો આવશ્યક છે. ત્યારે આજે બીજા દિવસે પણ મોરબીમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો ખોલાવીને વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે આ દુકાનો અત્યાર સુધી બંધ હોવા છતાં તેમની પાસે દંડ વસૂલવાની પાલિકાની નીતિનો વેપારીઓ અને લોકોમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

આજે સતત બીજા દિવસે તા. 30ના રોજ જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની સૂચના અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, કૃષ્ણસિંહ જાડેજા, શક્તિભાઈ રાઠોડ, રમેશભાઈ સહિતનો પાલિકા સ્ટાફ ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવતની સાથે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલ ફરસાણ અને મીઠાઈ અને ડેરીની દુકાનો પર તપાસ હાથ ધરી હતી. આ ટીમે આજે મીઠાઈ-ફરસાણની પણ 8 દુકાનો ખોલાવી દુકાનમાં રહેલ મીઠાઈ બનાવવા માટેના પડતર વાસી જથ્થાનો નાશ કરાવ્યો હતો. જેમાં આશરે કુલ 400 કિલો વાસી માલના જથ્થાનો નાશ કરાયો હતો.

- text

જ્યારે બીજી બાજુ બંધ દુકાનો ખોલાવી અખાદ્ય મીઠાઈનો નાશ કરાવો એ સારી બાબત છે. પરંતુ આ માટે દુકાનદારોને જવાબદાર ગણી તેમની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી ગેરવ્યાજબી છે. કારણ કે લોકડાઉનના કારણે દુકાનો ન ખુલવાથી તેમાં રહેલો માલ બગડી જાય એ માટે દુકાનદાર એકલો જવાબદાર નથી. જેથી પાલિકાની દંડ વસૂલવાની નીતિનો વેપારીઓ અને લોકોમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

- text