મોરબીના વાઘપર(પીલુડી) ગામે ૧૭૦૦ વૃક્ષો વાવી તેના જતનનો પ્રેરણાદાયી સંકલ્પ

- text


ઉદ્યોગપતિ ડી.સી. પટેલ (જિલટોપ ગ્રુપ)ની આગેવાનીમાં 40 સભ્યોની ટીમ બનાવી રસ્તા પર દબાણ હટાવીને વૃક્ષારોપણનું કામ પૂર્ણ કર્યું : વૃક્ષોના જતન માટે કડક નિયમો પણ બનાવ્યા : વૃક્ષોના જતન માટેની કામગીરીની ઠેર ઠેર સરાહના

મોરબી : મોરબીના વાઘપર(પીલુડી) ગામે 4 કિમીના રોડ પર વાઘપર(પીલુડી) ગામના વતની અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિએ 40 સભ્યોની ટીમ બનાવીને 1700 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. માત્ર 40 દિવસમાં વૃક્ષારોપણ કર્યા બાદ ગ્રામપંચાયતમાં ઠરાવ પસાર કરીને વૃક્ષના જતન માટે આકરા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેમાં વૃક્ષ પાસે દબાણ કરનારને રૂ. 2000નો દંડ કરીને દબાણ હટાવવાનો નિયમ પણ બનાવાયો છે.

મોરબીના વાઘપર(પીલુડી) ગામના વતની અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિ ડી.સી. પટેલ ( જિલટોપ ગ્રુપ) એ પર્યાવરણના જતન માટે પોતાના વતન વાઘપર(પીલુડી)ના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. જેમાં આ ઉદ્યોગપતિએ વૃક્ષો વાવી અને તેના ઉછેર કરવાની વાત મુકી હતી. આ વાતને ગ્રામજનોએ સહર્ષ સ્વીકારી લીધી હતી. બેઠકમાં નક્કી થયા મુજબ વૃક્ષનું વાવેતર, પિંજરા, ૩ થી ૪ વર્ષની માવજત, જેસીબીથી સફાઈ અને પાણી પીવડવાના ખર્ચની જવાબદારી ઉદ્યોગપતિએ પોતે લીધી હતી. આ કામ માટે કુલ 40સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીને ડીસીપી હરિયાળી નામ આપવામાં આવ્યું છે.

- text

વૃક્ષારોપણ માટે રોડની બંને બાજુ ખેતરના દબાણો, ઉકરડાઓ, વંડાઓ વગેરે ઉદ્યોગપતિ ડી.સી. પટેલ અને ગ્રામજનોની સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતા. બાદમાં ગાળા ગામથી વાઘપર(પીલુડી) ગામ સુધી આશરે 4 કીમી સુધીમાં રોડની બન્ને બાજુ, તળાવની પાળે, ગામના પાદરે, સ્મશાને અને સમાજની વાડીએ મળી આશરે 1700 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

ટીમ ડીસીપી હરિયાળીએ વૃક્ષારોપણ, પિંજરા નાખવાનું , કંતાન વિટવાનું અને પાણી સીંચવાનું કામ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરી દીધું હતું. બાદમાં ગ્રામપંચાયતમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે વાવેલ વૃક્ષ પાસે જો ફરી કોઈ દબાણ કરવાનો પ્રયત્ન કરશે તો રૂ. 2000 દંડ ભરવો પડશે અને સ્વખર્ચે આ દબાણ હટાવી લેવું પડશે અને કસૂરવાર જણાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઠરાવની નકલ ગામના દરેક ઘરોમાં વિતરણ કરવામાં આવી હતી. આ રીતે એક ઉદ્યોગપતિની આગેવાનીમાં વાઘપર(પીલુડી) ગામે હરિયાળું બનવાની દિશામાં એક પ્રેરણાદાઈ પેહલ કરી શ્રેષ્ટ ઉધાહારણ પૂરું પડ્યું છે. જાણીતા ઉદ્યોગપતિ ડી.સી. પટેલ ( જિલટોપ ગ્રુપ) એ પર્યાવરણના જતન માટે કરેલી પહેલને ગ્રામજનોએ તેમની આગેવાનીમાં ઉપાડીને અન્યનો પ્રેરણા આપી છે. ઉદ્યોગપતિ ડી.સી. પટેલ ( જિલટોપ ગ્રુપ)ની આગેવાનીમાં હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વાઘપર(પીલુડી) ગામે વૃક્ષોના જતન માટે હાથ ધરેલી આ કામગીરીની ઠેર ઠેર સરાહના થઇ રહી છે.

- text