મોરબી : વવાણિયા ગામે જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે નરેદ્ર મોદીએ ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું

- text


મોરબી જિલ્લા માટે ગૌરવ અને યશ અપાવનારો ઐતિહાસિક પ્રસંગ : મોરબી જિલ્લાની મહાન વિભૂતિ શ્રીમદ્દ રાજચંદ્રને અદકેરું સમ્માન

મોરબી : શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ જન્મજયંતીની ઉજવણીનાં ભાગસ્વરૂપે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા, શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ અને વિહાર ભવન ટ્રસ્ટ, શ્રી રાજ સોભાગ આશ્રમ સાયલા સહિત અન્ય સંસ્થાઓની મદદથી આજ રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન તેઓ રાજચંદ્રજી પર એક ટપાલ ટિકિટની સાથે સ્પેશિયલ ડે કવર તેમજ કોઈન (સિક્કા)નું અનાવરણ કરશે.
શ્રીમદ્ રાજચંદ્ર એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ ૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પિતાનું નામ રાવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન’, પછીથી ‘રાયચંદ’ અને ત્યારબાદ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨થી ૧૬ વર્ષની વયમાં આઘ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. ૩૩ વર્ષની વયે ૯ એપ્રિલ ૧૯૦૧નાં રોજ રાજકોટ ખાતે મૃત્યુ પામ્યાં.
વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી દ્વારા રાજચંદ્રજી પર એક ટપાલ ટિકિટની સાથે કોઈન (સિક્કા)નું અનાવરણ થતા મોરબી જિલ્લા માટે ગૌરવ અને યશ આપનારી ક્ષણ આજ રોજ સર્જાય છે.

- text

 

- text