એક મતની કિંમત શુ છે, ખબર છે ? કેટલાય ઉમેદવારો એક મતે જ હાર્યા છે!!

- text


મોરબી : મતદારોને એવું લાગતું હોય છે કે મારો એક મત પડે કે પછી ન પડે, શું ફેર પડવાનો છે ? પણ આપણા દેશમાં એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં એક મતે જ બાજી પલટી નાખી હોય, લોકશાહીમાં એક મતની પણ ગણી ન શકાય તેટલી કિંમત છે. અને એ પણ વાસ્તવિકતા છે કે એક એક ટીપે જ સરોવર ભરાય, જો બધા લોકો મારા એક મતે શું ફેર પડશે તેવું વિચારવા લાગશે તો લોકશાહીમાં નાગરિકોને મળતો અધિકાર જ સંકટમાં આવી જશે.

● 2008ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી સી.પી.જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સી.પી.જોશીને 62215 મત મળ્યા હતા જ્યારે એના હરિફ ઉમેદવાર શ્રી કલ્યાણસિંહ ચૌહાણને 62216 મત મળ્યા હતા. માત્ર એક મત માટે શ્રી સી.પી. જોશી ચૂંટણી હારી ગયા. વધુ આશ્વર્યની વાત તો એ હતી કે આ ચૂંટણીમાં શ્રી જોશીના માતા અને પત્નિ મતદાન કરવા નહોતા ગયા.

● 2004ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિને 40751 મત મળ્યા હતા જ્યારે તેના હરિફ શ્રી ધૃવનારાયણને 40752 મત મળ્યા હતા. માત્ર એક મતથી શ્રી એ.આર.કૃષ્ણમૂર્તિનું ધારાસભ્ય બનવાનું સપનું રોળાઇ ગયુ. આ ચૂંટણી વખતે શ્રી કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા જવાદેવાની મંજૂરી માંગેલી પણ એક મતથી શું ફેર પડે એમ માનીને શ્રી કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવરને મતદાન કરવા જવાની મંજૂરી ના આપી અને એનું પરિણામ ભોગવવુ પડ્યુ.

● 1999માં જ્યારે શ્રી અટલ બિહારી વાજપેયીએ વિશ્વાસનો મત જીતવાનો હતો ત્યારે એક સંસદસભ્યએ વાજપેયીના પક્ષમાં મતદાન કરવાનું વચન આપેલું પરંતું એમ ન થતા વાજપેયીજી જેવા પ્રામાણિક અને નિષ્ઠાવાન વ્યક્તિ વિશ્વાસનો મત ના જીતી શક્યા. માત્ર એક મતના લીધે વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

- text

● 2015માં મોહાલી મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે કૂલવિંદર કૌર માત્ર એક મતથી એના હરિફ નિર્મલ કૌર સામે ચૂંટણી હારી ગયા હતા.

● 2017માં મુંબઇ મહાનગરપાલીકાની ચૂંટણી વખતે સુરેન્દ્ર બાગલકર એક મતથી જીતી ગયા હતા. તેના હરિફ શ્રી અતુલ શાહે ફેરમતગણતરી કરતા બંનેને 5946 મત મળ્યા હતા. બંનેને સરખા મત મળતા ચીઠી ઉપાડીને ઉમેદવારની જીત નક્કી કરવાની હતી જેમાં અતુલ શાહ જીતી ગયા હતા. માત્ર એક મતના કારણે સુરેન્દ્ર બાગલકરની જીત હારમાં બદલાઇ ગઇ હતી.

દુનિયાભરમાં આવી અગણીત ઘટનાઓ છે જ્યાં એક મતે આખી રમત બદલી નાંખી હોય. 1961ની સાલમાં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીતેલા અને એ ઉમેદવાર જીત્યા એટલે પક્ષની 10 બેઠક થઇ ગઇ, હરીફ પક્ષને 9 બેઠક મળી હતી આમ એક જ મતથી ચૂંટણી જીત્યા એટલું જ નહિ એ એક મતના લીધે એફ્રો સીરાઝી પક્ષની સરકાર પણ બની ગઇ. અમેરીકાના 17માં રાષ્ટ્રપ્રમુખ શ્રી એન્ડ્ર્યુ જોન્સન માત્ર એક મતથી બચી ગયા હતા અને શ્રી રુથરફોર્ડ હેયસ માત્ર એક મતથી અમેરીકાના 19માં રાષ્ટ્રપ્રમુખ બની ગયા હતા.

માટે જ….મતદાન કરીએ અને કરાવીએ, લોકશાહીને વધુ મજબૂત બનાવીએ.

- text