મોરબીની મચ્છુ-2 ડેમમાં ભરપૂર પાણી છતાં ૧૪ ગામના ખેડૂતો રવિપાકથી વંચિત

- text


૨૦૧૭માં ભારે વરસાદને પગલે નુકશાન થયા બાદથી કેનાલમાં પાણી જ નથી છોડ્યું : ભારે વરસાદને પગલે કેનાલને મોટા પાયે થયું હતું નુકશાન, સિંચાઈ વિભાગની ઢીલી નીતિથી ખેડૂતો પાયમાલ

મોરબી : મોરબી જિલ્લામાં ગત ચોમાસામાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદ થતા મોરબીનો મચ્છુ ૨ ડેમ ઓવરફલો થઈ ગયો હતો. એક તરફ પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઈ હતી. તો બીજી તરફ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી જશે તેવી આશા હતી. જો કે સિંચાઈ વિભાગની અણધડ નીતીને કારણે મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી કેનાલ છતાં પાણીએ ખાલી છે. મોરબીમાં મચ્છુ ૨ સિંચાઈ યોજના અંતર્ગત મુખ્ય ત્રણ કેનાલમાં ૮.૫ કિમીની કેનાલ નેટવર્ક પાથરાયેલ છે. જો કે સિંચાઈ વિભાગ દ્વારા ભારે વરસાદમાં નુકશાન પામેલ કેનાલનું સમયસર રીપેરીંગ ન કરવાના કારણે મોરબી તાલુકાના ૧૪ ગામડામાં સિંચાઈનું પાણી મળ્યું નથી. જેના કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા નથી.

રાજ્ય સરકારની ખેડૂતલક્ષી નીતી હોવાના દાવા વચ્ચે મોરબી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ૨૦૧૭માં ભારે વરસાદને પગલે મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મુખ્ય કેનાલમાંથી ડી૧, ડી૨ અને ડી૩ પેટા કેનાલ નીકળે છે. આ પેટા કેનાલને મોટા પાયે નુકશાન થયું હતું. જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા રૂ ૧૧.૨૭ કરોડના ખર્ચે કેનાલનું રીપેરીગ કામ શરુ કરવામાં આવ્યું હતું. જો કે કામગીરી સમયસર પૂર્ણ થઇ શકી ન હતી. જેના કારણે ૨૦૧૮ના શિયાળુ પાક લઇ શકાયો ન હતો તો ૨૦૧૮ના વર્ષમાં દુષ્કાળ થતા સિંચાઈનું પાણી ન મળતા તે વર્ષે પણ શિયાળુ કે ઉનાળુ પાક લઇ શકાયો ન હતો. જો કે તંત્ર આ સમય દરમિયાન કેનાલનું રીપેરીંગ કામ કરી શકી ન હતી ત્યાં ફરી ૨૦૧૯ના વર્ષમાં ફરી ભારે વરસાદને કારણે કેનાલમાં મોટા પાયે નુકશાન થયું હતું. આ વખતે ત્રણેય કેનાલના કુલ ૮.૫ કિમીના નેટવર્કમાં નુકશાન થયું હતું તો આ કેનાલમાંથી નીકળતી માયનોર કેનાલમાં પણ માટી ભરાવવાના કારણે કેનાલ બુરાઈ ગઈ હતી.

- text

ખેડૂતો દ્વારા દિવાળીના સમયે તાત્કાલિક કેનાલનું રીપેરીગ કામ કરી તેમજ માઈનોર કેનાલની માટી દુર કરાવા માગ કરી હતી. જેથી, ખેડૂતો શિયાળુ પાક લઇ શકે. જો કે સિંચાઈ વિભાગની ઢીલી નીતિને કારણે આ કામગીરી હજુ ૧૦થી ૧૫ ટકા સુધી જ થઇ શકી છે. કેનાલ તૂટી જવાને કારણે મોરબી તાલુકાના અમરેલી, ખીજડીયા, વનાળીયા, નારણકા, જેપુર, ખાખરાળા, લુટાવદર, ખેવારીયા, પીપળીયા, નાની વાવડી, બગથળા, બીલીયા, બરવાળા સહિતના ૧૪ ગામના ખેડૂતો શિયાળુ પાક લઇ શક્યા નથી. ચોમાસું પાકને થયેલા નુકશાનની ભરપાઈ કરવા શિયાળુ પાકની આશ લગાવી બેઠેલા ખેડૂતોની ઈચ્છા પર સિંચાઈ વિભાગની ઢીલી નીતિ ભારે પડી ગઈ છે. હજુ પણ આ કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં ક્યારે ખેડૂતોને કેનાલમાંથી પાણી મળતું થશે તે સવાલ છે.

૨૦૧૭માં થયેલા ભારે વરસાદમાં કેનાલને નુકશાન થયું હતું. જે બાદ તંત્રએ રીપેર કરવાની કામગીરી કરી હતી. જો કે આ કામગીરી તેઓ પૂરી ન કરી શકતા જે તે વખતે શિયાળુ પાકનું વાવેતર કરવા નાં પાડી હતી. પછીના વર્ષે દુષ્કાળ થતા તે વર્ષે પણ પાક લઇ શક્યા ન હતા. ફરીવાર આ વખતે અમે નવેમ્બરમાં પાણી છોડવા માગણી કરી તો આ વખતે પણ કેનાલનું રીપેરિંગ કામ થયું ન હોવાનું જણાવી, પાણી છોડવાની ના પાડી હતી તેવો ખેડૂતોએ બળાપો ઠાલવ્યો છે. જ્યારે મોરબીની ડી૨ અને ડી૩ કેનાલનું લાઈનીંગ કામગીરી પૂર્ણ થવાની તૈયારી છે. જયારે સ્ટ્રકચર કામ ચાલુ છે. આગામી ૩૧ મે સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે. આગામી ઉનાળુ સીઝન માટે પાણી આપવાનું અમારું આયોજન છે. તેમ મચ્છું ૨ ડેમ સિંચાઈ યોજનાના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર પી. એમ. પાચોટીયાએ જણાવ્યું હતું.

- text