૧ લી માર્ચથી મોરબીના સસ્તા અનાજના વેપારીઓની હડતાલ ! આજે હોદ્દેદારોની બેઠક

- text


અમદાવાદ ખાતે યોજાયેલી મીટીંગમાં લેવાયો નિર્ણય

મોરબી : પડતર પ્રશ્ર્નો ઉકેલવાની માંગણી, પોલીસની હેરાનગતિ અને સરકારની ઉદાસીન નીતિના વિરોધમાં મોરબી સહિત રાજયભરના સસ્તા અનાજના વેપારીઓ આગામી ૧લી માર્ચી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરનાર છે. ત્યારે મોરબીના સસ્તા અનાજના વેપારી મંડળ દ્વારા આજે સ્થાનિક કક્ષાએ બેઠક યોજી હડતાલ અંગે નિર્ણય લેશે.

અમદાવાદ ખાતે મળેલી રાજયના સસ્તા અનાજના વેપારી મંડળની બેઠકમાં પ્રમુખ પ્રહલાદભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યાં હતા.

ગઈકાલે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ મંગલ દીપ પાર્ટી પ્લોટમાં રાજયના સસ્તા અનાજના વેપારી મંડળના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીની અધ્યક્ષતામાં સમગ્ર રાજયના સસ્તા અનાજના વેપારી મંડળના જિલ્લા પ્રમુખો, ઉપપ્રમુખો સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સસ્તા અનાજના વિક્રેતાઓનું કમિશન વધારવા, દુકાનદારોના મૃત્યુના કિસ્સામાં વારસાઈ ધોરણે વારસદારોને તાત્કાલીક દુકાનની ફાળવણી કરવી, નવા સોફટવેર જે ધીમા ચાલી રહ્યાં છે તેના કારણે ગ્રાહકો અને દુકાનદારોને તી તકરારનું સોલ્યુશન કરવું, જે તે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આડેધડ રેશનકાર્ડ ધારકોના કાર્ડમાં ગેસનું સ્ટેમ્પીંગ બંધ કરવું, પોલીસની હેરાનગતિ બંધ કરવી સહિતના મુદ્દે વિચાર-વિમર્શ કરાયો હતો અને આગામી ૧લી માર્ચી રાજયના તમામ સસ્તા અનાજના વિક્રેતાઓએ હડતાલ પર જવા નકકી કર્યું હતું.

- text

સસ્તા અનાજના વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા વર્ષોમાં અને ખાસ કરીને બાર કોડેડ રેશનકાર્ડ અમલમાં આવ્યા બાદ તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા સસ્તા અનાજના વેપારીઓને અસહ્ય હેરાનગતિ થઈ રહી છે. સુરતમાં તો પોલીસ ઘેર-ઘેર જઈ અનઅધિકૃત રીતે રેશનકાર્ડ ધારકો અને પરવાનેદારો ઉપર રીતસરનો જુલમ વરસાવે છે. આ ઉપરાંત આધારકાર્ડના સીડીંગમાં રહેલી સમસ્યાનો દોષ વેપારીઓ પર નાખવામાં આવી રહયો છે. આટલું ઓછું હોય તેવામાં નવા સોફટવેર અત્યંત ધીમા ચાલતા હોય ઉપરાંત આધારકાર્ડ મુજબ રેશનકાર્ડ ધારકોના અંગુઠા આવતા ન હોય, જાહેર વિતરણ વ્યવસ્થાને માઠી અસર પહોંચાવાની સાથે દુકાનદારો અને રેશનકાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણના કિસ્સા વધી રહ્યાં છે. જેને પગલે તાકીદે આ પ્રશ્ર્નોનું સોલ્યુશન લાવવાની માંગ કરી રાજયના વેપારી મહામંડળે હડતાલ પર જવા નકકી કર્યું છે અને ૧લી માર્ચથી અમારી હડતાલ સજ્જડ બની રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.

વધુમાં, ગુજરાતના વેપારીઓને પણ અન્ય રાજયોની જેમ અને ખાસ કરીને કેરળની જેમ કમિશનર આપવામાં આવે તે અમારી મુખ્ય માંગ છે. અમદાવાદ ખાતે યોજાયેલી આજની આ બેઠકમાં મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના વેપારી મંડળના તમામ હોદ્દેદારો હાજર રહ્યાં હતા.

જો કે મોરબી જિલ્લાના સસ્તા અનાજ વેપારી મંડળ દ્વારા આવતીકાલે આ બાબતે મિટિંગ યોજી હડતાલ અંગે જિલ્લા કલેકટરને લેખિત જાણ કર્યા બાદ આ ચોક્કસ મુદતની હડતાલ પર જનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

- text