વાંકાનેરના દીઘલિયા ગામે સગીર પુત્રીની હત્યા કરી નાખતા માતા-પિતા અને બહેન 

- text


બહેનના નણંદના પતિ સાથે સગીરાને પ્રેમ સંબંધ હોય માતા-પિતા અને બહેને મોઢે ઓશિકાના ડૂમો આપી પતાવી દીધી  

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે બનેલા એક ચોંકાવનારા બનાવમાં માતા – પિતા અને બહેને સાથે મળી પ્રેમાંધ બનેલી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્યા કરી નાખ્યા બાદ જાણે કઈ જ બન્યું ન હોય તેમ દીકરીને હાર્ટએટેક આવ્યાનું જાહેર કર્યું હતું. જો કે મૃતકના કૌટુંબિક સગાને બનાવ શંકાસ્પદ લાગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મૃતક સગીરાને માતપિતાએ તેના બામણબોર ખાતે રહેતા પ્રેમી સાથે ફોનમાં વાત કરવાની ના પાડી હોવા છતાં દીકરી વાત કરતી હોવાથી માતાપિતાએ અને દીકરીએ મળી સગીરાની હત્યા કર્યાનું ખુલતા હાલમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની પુત્રી રીંકલ મહેશભાઇ ઉ.16નું તા.26ના રોજ મૃત્યુ થતા ઘરમાં રડવાનો અવાજ આવતા પાડોશમાં જ રહેતા તેમના કૌટુંબિક ભાઈ દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા અને તેમનો પરિવાર મહેશભાઈના ઘેર દોડી જતા મહેશભાઈએ રિંકલનું રાત્રે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું. જો કે,મહેશભાઈના કૌટુંબિક સગા દિનેશભાઇને રિંકલના ગળા ઉપર ઇજાના નિશાન દેખાતા ગામના સરપંચ અને અન્ય આગેવાનોને જાણ કરી મૃતક રિંકલનો મૃતદેહ વાંકાનેર ખસેડી પોલીસને જાણ કરતા પોલીસે રિંકલના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખસેડ્યો હતો.

- text

બીજી તરફ પોલીસ આવવાની સાથે જ રિંકલના પિતા ભાંગી પડ્યા હતા અને દિનેશભાઇ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી મહેશભાઈએ સ્વીકાર્યું હતું કે, અમારાથી ભૂલ થઇ ગઈ છે અને અમે જ અમારી પુત્રીને મારી નાખી છે. આ મામલે મૃતક રિંકલના કૌટુંબિક સગા એવા દિનેશભાઇ ગૌરીદાસભાઈ ગોંડલિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રિંકલના પિતા મહેશભાઈ રવિરામભાઇ ગોંડલીયા, માતા સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને બહેન હિરલ વિરુદ્ધ હત્યા કરવા મામલે ગુન્હો નોંધાવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રિંકલ ઉ.16 વાળીને તેની મોટીબહેનના નણદોયા રાહુલ મુકેશભાઈ કાપડી રહે.બામણબોર વાળા સાથે પ્રેમ સંબંધ હોય જેથી માતા, પિતા અને બહેને સમજાવવા છતાં રિંકલ માનતી ન હોય અને ફોનમાં રાહુલ સાથે વાતચીત કરતી હોવાની સાથે માતાપિતાને અને બહેનને કહ્યું હતું કે, તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો હું તો વાત કરીશ, જેથી મૃતકના માતાપિતા અને બહેને રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાનો ડૂમો દઈ ત્રણેય જણે સાથે મળી મોતને ઘાટ ઉતારી કોઈને શંકા ન જાય તે માટે હાર્ટએટેક આવ્યાનું રટણ ચાલુ રાખ્યું હતું. જો કે સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક સગાને શંકા જતા ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે અને હાલમાં રિંકલના માતા, પિતા અને બહેન વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text