વાંકાનેર ખાતે ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કરાવતા સાંસદ કેસરીદેવસિંહ 

- text


મોરબી : સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં ટ્રેન નં. 12949 પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી વાંકાનેર સ્ટેશન પર એક સાથે ત્રણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન કે જેને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું હતું તેમાં ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ શામેલ છે. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેએ સૌનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે વાંકાનેર અને મોરબીના વિસ્તારના લોકોની લાંબા સમયથી માંગણી હતી કે પોરબંદર-સંતરાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો ને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે જે આજે પૂર્ણ થયું છે.

આજથી, આ ત્રણેય ટ્રેનો વાંકાનેર સ્ટેશને તેમના નામાંકિત દિવસોમાં 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે. રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબેએ સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાનો રેલ્વે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text