રાજ્યમાં 31મી મે સુધી જળ અભિયાન અંતર્ગત જળાશયોમાંથી કાપ કઢાશે

- text


રાજ્ય સરકાર ધરતીપુત્રોને કાચાં સોના સમાન માટી નિઃશુલ્ક આપવા તથા જળાશયોની સંગ્રહક્ષમતા વધારવા કટિબદ્ધ

મોરબી : યે પુનસ્તદપાં સ્તોકા આપન્ના પૃથિવીતલે। અપાં ભૂમેશ્વસંયોગા દૌષધ્યસ્તા સ્તદાભવન।। “જ્યારે પૃથ્વી પર થોડું પાણી સંગ્રહિત થાય છે, ત્યારે પૃથ્વી અને પાણીના સંયોગથી અનેક પ્રકારની ઔષધિઓ ઉત્પન્ન થાય છે. (કૂર્મ પુરાણ) આપણા દેશની સંસ્કૃતિ જળસંરક્ષણ સાથે જોડાયેલી છે. વિશ્વની દરેક સંસ્કૃતિ જળના સ્ત્રોત પાસે વિકાસ પામી છે. પાણીની ઉપલબ્ધિમાં જીવન પાંગરે છે. જીવ કલ્યાણ અર્થે સદીઓથી નદી, કૂવા, તળાવ, વાવ વગેરેએ પાણી પુરવઠો પૂરો પાડયો છે. એટલે જળ સ્ત્રોતોનું જતન કરવું જરૂરી છે. આથી, જળસંરક્ષણ તથા જળસંચય અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજય સરકારે વર્ષ ૨૦૧૮માં એક અનોખું અભિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’.શરૂ કર્યું છે જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આગામી 31મી મે સુધી જળ અભિયાન અંતર્ગત જળાશયોમાંથી કાપ કાઢવામાં આવશે.

‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અભિયાન અંતર્ગત સિંચાઇ અને પીવાના પાણી માટે બનાવાયેલા જળાશયોમાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. જમીનનાં ઉપલા સ્‍તરમાં રહેલા પોષક તત્‍વો અને કુદરતી પદાર્થો આ પાણીમાં ઘસડાઇને જળાશયોના તળિયે જમા થાય છે. રાજ્ય સરકાર જળાશયોના તળિયે પડેલો કુદરતી કાંપ પોતાના ખર્ચે ખોદાવીને રાજયભરના ખેડૂતોને વિનામૂલ્યે આપે છે. ખેડૂતોને અમૂલ્ય માટી વિનામૂલ્યે મળવાથી મોંઘા ખાતરોનો ખર્ચ બચી જાય છે અને આ કાંપવાળી માટીમાંથી કૃષિ ઉત્‍પાદન મોટા પાયે થાય છે. એટલું જ નહીં, ખોદકામ કરવાથી જળાશય ઊંડું જવાને લીધે તેની સંગ્રહક્ષમતા પણ વધે છે. ડેમ સાઇટ પરથી કાંપવાળી માટી ખેતરમાં પાથરવાની કામગીરીમાં શ્રમજીવી વર્ગને રોજી-રોટી મળે છે. સાવ નકામી માટીનો બહુમૂલ્‍ય ઉપયોગ થવાથી એ વાતની ચોકકસ પ્રતીતિ થાય છે કે‘‘આમ કે આમ, ગુટલીયોં કે ભી દામ…’’

- text

ઉપરાંત, ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ હેઠળ મુખ્યત્વે જળસંગ્રહનાં કામો જેવા કે તળાવો ઊંડા કરવા, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, તળાવોના પાળાનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ, મરામત તથા જાળવણી, નદી, વોંકળા, ગટર, ટાંકી, સંપની સાફસફાઇ, નદી પુન: જીવિત કરવી જેવા પરંપરાગત જળ સ્ત્રોતોના નવિનીકરણના કામો તેમજ નવા તળાવો, નવા ચેકડેમો બનાવવા, વન તલાવડી, ખેત તલાવડી, માટીપાળા, રેઇન વોટર હાર્વેસ્ટીંગ જેવા કામો લોકભાગીદારીથી હાથ ધરવામાં આવે છે. પીવાના પાણીનો બગાડ અટકાવવા માટે જનજાગૃતિની કામગીરીને પણ સાંકળી લેવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૨ દરમિયાન ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ના ફળસ્વરૂપ જળસંચયનો નોંધપાત્ર વ્યાપ જોતા આ વર્ષ ૨૦૨૩માં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ અભિયાનના છઠ્ઠા ચરણનો ગાંધીનગરના ખોરજથી આરંભ કરવામાં આવ્યો હતો. આ જળસંચય અભિયાન તા. ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે, ૨૦૨૩ એમ ૧૦૪ દિવસ સુધી ચાલનાર છે. આમ, રાજ્ય સરકાર ધરતીપુત્રોને કાચા સોના સમાન માટી નિઃશુલ્ક આપીને પાકનું ઉત્‍પાદન વધારવા તેમજ જળાશયોની સંગ્રહક્ષમતા વધારવા કટિબદ્ધ છે. ત્યારે આપણે પણ હયાત જળસ્ત્રોતોને મૂલ્યવાન અનામત ગણીને તેમની જાળવણી કરી, તેમાં જળસંચય કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં કહી શકાય કે પાણીના ટીપેટીપાંથી બને છે મહાસાગર, પાણીથી જ જીવન થાય છે ઉજાગર.

- text