માવઠાની આગાહી : હળવદ-વાંકાનેર યાર્ડમાં આજથી જણસીની આવક બંધ

- text


મોરબી યાર્ડમાં જણસીની આવક ચાલુ રહેશે પણ ખેડૂતોને માલ ઢાંકીને લાવવાની અપીલ કરાઈ

મોરબી : રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પ્રતિકૂળ અસરને લીધે તા.4,5 અને 6 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જણસીઓ વરસાદમાં પલળીને ખરાબ ન થઈ જાય તે માટે આજથી હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક બંધ કરવામાં આવી છે. જ્યારે મોરબી યાર્ડમાં જણસીની આવક ચાલુ રહેશે પણ ખેડૂતોને માલ ઢાંકીને લાવવાની અપીલ કરાઈ છે.

હળવદ માર્કેટ યાર્ડની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસની વરસાદની આગાહી હોવાથી હળવદ માર્કેટ યાર્ડમાં જણસીઓ વરસાદમાં પલળીને ખરાબ ન થઈ જાય તે માટે આજે તા.3 માર્ચથી જણસીઓની આવક બંધ કરવામાં આવી છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હળવદ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક બંધ રહેશે આ દરમિયાન ખેડૂતોને હળવદ માર્કેટ યાર્ડમાં જાણસીઓ લઈને ન આવવાની અપીલ કરવામાં આવી છે.

જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડના ડો. એ.કે.પીરઝાદાના જણાવ્યા મુજબ કમોસમી વરસાદની આગાહીને પગલે આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાથી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસ સિવાયની જણસીઓની આવક બંધ કરવામાં આવશે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસ સિવાયની જણસીઓની આવક બંધ રાખવામાં આવશે.જેની વેપારીઓ તેમજ ખેડૂતોને નોંધ લેવા અપીલ કરી છે. આ ઉપરાંત જે વેપારીઓનો માલ વાંકાનેર યાર્ડમાં ખુલ્લામાં પડ્યો હોય એને તાત્કાલિક પોત પોતાના ગોડાઉનમાં શિફ્ટ કરી દેવાની પણ તાકીદ કરવામાં આવી છે.

- text

જ્યારે મોરબી માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા તા.4,5 અને 6 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન મોરબી માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક બંધ કરાઈ નથી.પણ મોરબી માર્કેટીંગ યાર્ડમાં વરસાદની આગાહી દરમિયાન પણ જાણસીઓની આવક ચાલુ રહેશે. આથી ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવા અને વેપારીઓને પણ માલને સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી છે.

- text