મોરબીની બિલિયા ગામની શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાયો

- text


ગામના પ્રથમ હયાત વિદ્યાર્થી શતાયુ ધરમશીબાપા તેમજ પૂર્વ શિક્ષકો અને દાતાઓનું સન્માન કરાયું : ગામના યુવાનોએ સો બોટલ રક્ત એકત્ર કર્યું

મોરબી : મોરબી તાલુકાના બિલિયા ગામની શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપ, શાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ઋણાનુંબંધ મહોત્સવ યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામૂલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના 3000 જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.

શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, તેજસ્વી તરલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત હોય એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું હતું. ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરવામાં આવી હતી.

બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતું. ચતુરભાઈ કાવરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં નકલંકધામ બગથળાના સંત દામજી ભગત અને કબીરધામના સંત મહા મંડલેશ્વર 1008 શિવરામદાસજી સાહેબે આશિર્વચન પાઠવતા જણાવ્યું કે, જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે, જીવનમાં ગુરૂનું ખુબજ મહત્વ છે, શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે. બંને સંતોએ શાળા અને સમસ્ત ગ્રામજનોને ઋણાનુબંધ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

વધુમાં શિવરામદાસજીએ શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા અને તમામ શિક્ષકોને આવો સુંદર વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો આ કાર્યક્રમનો લાભ સમસ્ત બિલિયાવાસીઓ તેમજ બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકોએ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોશિયલ ગ્રુપના કાર્યકર્તાઓએ તન, મન અને ધનથી ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સાંણદિયા અને ગૌતમભાઈ ગોધવીયાએ કર્યું હતું.

- text

- text