- text
પત્રકારો ઉપર વારંવાર હુમલાની ઘટનાઓને લઈને મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા એસપી અને કલેકટરને આવેદનપત્ર અપાયું
મોરબી : તાજેતરમાં રાજકોટના બામણબોર પાસે નવું એરપોર્ટ બનાવવાની કામગીરી દરમિયાન સરકારની કામગીરીનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મીઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું. આ બનાવને સમગ્ર પત્રકાર આલ્મમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તેથી પત્રકારો ઉપર વારંવાર હુમલાની ઘટનાઓને લઈને મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એસપી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
- text
આવેદનમાં જણાવ્યું હતું કે, પત્રકારો ઉપર અગાઉ ગુજરાતમાં હુમલા થયા છે અને ઘણી વખત ગેરવર્તન પણ કરવામાં આવે છે ત્યારે પત્રકારોની સ્વતંત્રતા તેમજ બંધારણીય હક્કો જોખમમાં મુકાય છે આવી જ ઘટના તાજેતરમાં રાજકોટના બામણબોર પાસે નવું એરપોર્ટ બનાવવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યાં બની હતી અને મહત્વની વાત તો એ છે કે સરકારની આ કામગીરીના કવરેજ માટે માહિતીખાતા દ્વારા જ પત્રકારોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા તેમ છતાં પત્રકારોની સાથે સ્થળ ઉપર જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ હતા તેમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં સરકારી વિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી દ્વારા પત્રકારો કે જે પોતાની ફરજ અને કામગીરીના ભાગરૂપે સ્થળ ઉપર જતા હોય છે તેમની સાથે આવું ગેરવર્તન ન કરવામાં આવે તેવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવે તેવી પત્રકાર એસોસીએશન મોરબીની માંગણી છે.
- text