નવી ગાઈડલાઈન જાહેર : લગ્ન સહિતના સમારોહમાં સંખ્યાની મર્યાદા દૂર કરી જગ્યા આધારિત મર્યાદા લાગુ

- text


સમારોહમાં ખુલ્લા સ્થળની ક્ષમતાના ૭૫ ટકા અને બંધ સ્થળના ૫૦ ટકાની મર્યાદામાં લોકોને છૂટ : લગ્ન માટે નોંધણી કરાવવી નહિ પડે

હવે માત્ર અમદાવાદ અને વડોદરામાં જ રાત્રિ કરફ્યુ : રાજકોટ સહિતના છ સ્થળોને કરફ્યુમાંથી મુક્તિ

મોરબી : સરકારે નવી ગાઇડલાઈન જાહેર કરી છે. વ્યકિતની સંખ્યાની મર્યાદા દૂર કરી જગ્યા આધારિત મર્યાદા નક્કી કરાઇ છે. જેમાં સમારોહ ખુલ્લી જગ્યાએ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. વધુમાં લગ્ન માટે નોંધણી કરાવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર તથા મુખ્ય સચિવ પંકજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયરના પાલન સાથે આ છૂટછાટો આપવાનું નિર્ધારિત કર્યું હતું.

- text

મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતી પૂર્વવત બનવા તરફ જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટ છાટ અને હળવા કરવામાં આવેલા નિયંત્રણો અંગે ગૃહ વિભાગ નું જાહેર નામુ આ સાથે સામેલ કર્યું છે. આ જાહેરનામા ની મુખ્ય બાબતો માં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા. ૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨ થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

- text