ભરતનગરમાં તંત્રની લાપરવાહીથી પાક નિષ્ફળ ગયાની રાવ કરતા ખેડૂતોને મળી ધાક-ધમકી

- text


 

  • કેનાલની બાજુમાં મસમોટા ખાડા રાખી દેતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

  • જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેશું : ખેડૂતોની ચિમકી

મોરબી : મોરબીના ભરતનગર ગામે કેનાલની બાજુમાં પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હોય જ્યાં એન્જિનિયરોએ બેદરકારી દાખવી મસમોટા ખાડા રાખી દેતા આસપાસના અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. જેના કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.આવા આક્ષેપ સાથે ખેડૂતો રજૂઆત કરવા જતા તંત્ર તરફથી ધાક-ધમકી મળી છે. તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. એટલું જ નહીં વળતર આપવામાં પણ ઠાગા- ઠૈયા થયા કરવામાં આવી રહ્યા છે.આથી જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મોરબીના ભરતનગર ગામમાંથી કેનાલ નીકળી છે આ કેનાલની બાજુમાં પાઇપલાઇનનું કામ કરાયું છે. જ્યાં એન્જિનિયરોએ ઘોર બેદરકારી દાખવી મસમોટા ખાડાઓ રાખી દીધા છે.જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં એટલે કે 80 થી 90 વીઘામાં પાક નિષ્ફળ ગયો છે.

ખેતરોમાં પાણી ફરી વળતાં ઉભા પાકને મોટુ નુકશાન થવા પામ્યું છે.આ અંગે જયારે ખેડૂતોએ રજૂઆત કરી તો વળતર આપવાને બદલે અધિકારીઓ તરફથી કેસ કરવાની ધમકી મળી છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મોટા ખાડાઓ શું ખેડૂતોએ કર્યા છે?

- text

આ કેનાલ બ્રાહ્મણ-બે ડેમમાંથી નીકળે છે જે મોરબીના ભરતનગર સહિતના વિસ્તારોમાં પસાર થાય છે.ગત 20 તારીખે આખો દિવસ આ કેનાલમાં પાણી ચાલુ રહેતા ખાડાઓ મારફત અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ઉભા મોલને મોટું નુકસાન થયું છે. આમ જ્યાં સુધી આ અંગેનું વળતર નહીં મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની ખેડૂતોએ ચીમકી આપી છે.

- text