- text
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના વરદ હસ્તે ધ્વજારોહણ થશે : સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ
ટંકારા : ભારતના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે દેશ થનગની રહ્યો છે ત્યારે ગુજરાતના તમામ જિલ્લા મથકોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારા ખાતે થવા જઈ રહી છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટંકારા સરકારી તંત્રના દરેક અધિકારીઓ આ સમારોહને લઈને ખાસા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી ઇમારતો પર રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે.
- text
આવનારી 26મી જાન્યુઆરીના દિવસે દેશ પોતાનો 71મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે ટંકારા સ્થિત સર્કિટ હાઉસના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જે.બી.પટેલ IAS, જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. જેમાં સિવિલ અધિકારીઓ રાષ્ટ્રીય પોશાકમાં તેમજ પોલીસ અધિકારીઓ યુનિફોર્મમાં ઉપસ્થિત રહેશે.
સવારે 08:55 મિનિટે જિલ્લા કલેકટર ધ્વજવંદન સ્થળે પહોંચશે. સવારે 09:00 કલાકે તેઓ ધ્વજવંદન કરશે. 09:05 મિનિટથી લઈને 09:25 મિનિટ સુધી તેઓ પરેડનું નિરીક્ષણ અને ટેબ્લોઝ નિરદર્શન કરશે. 09:25થી 09:40 સુધી જિલ્લા કલેકટર ઉપસ્થિતોને ઉદબોધન કરશે. 09:40 થી 10:40 દરમ્યાન એક ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. સવારે 10:40થી 10:50 કલાક દરમ્યાન વિશિષ્ટ કામગીરી બદલ
સન્માનપત્ર વિતરણ થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર નગરજનોને સવારે 08:45 કલાકે પોતાની બેઠક સંભાળી લેવા અનુરોધ કરાયો છે. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમને લઈને શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- text