બે દિવસ પહેલા રાજકોટથી ગુમ થયેલા આધેડની લાશ મચ્છુ નદીમાંથી મળી

- text


વાંકાનેર : રાજકોટના રહેવાસી આધેડની લાશ વાંકાનેર નજીક મચ્છુ નદીમાંથી મળી આવતા લાશની ઓળખ કરી મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતક પાછલા 2 દિવસથી લાપતા હતા. પોલીસે આ બનાવની વધુ તપાસ શરૂ કરી છે.

- text

વાંકાનેર તાલુકા પો.સ્ટે.ની હદમાં આવતા જેતપર ગામ નજીકની મચ્છુ નદી કાંઠે એક લાશ તણાઈને આવી હોવાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલિસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ હતા એ દરમ્યાન ધનજી સામતભાઈ પ્રબરાણીએ મૃતકની લાશ ઓળખી બતાવી હતી. જે રાજકોટ તાલુકાના કુચિયાદળના રહેવાસી વિનુભાઈ રવજીભાઈ જમોડ ઉં.વ.42 હોવાની જાણકારી મળી હતી. મૃતક 2 દિવસથી લાપતા હતા. પરિવારજનો એમની શોધખોળ ચલાવતા જ હતા એ દરમ્યાન હતભાગીની લાશ મચ્છુ નદીમાંથી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. લાશને પહેલા વાંકાનેર અને ત્યાર બાદ ફોરેન્સિક પી.એમ.માટે રાજકોટ ખસેડવામાં આવી છે. બનાવની વધુ તપાસ એ.એસ.આઈ. વી.ડી.ખાચર ચલાવી રહ્યા છે.

- text