૧લી એપ્રિલથી તમામ ટાઇલ્સના ભાવમાં ૧૫થી ૨૦ ટકા વધારો

- text


 

સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાવ વધારો અત્યંત જરૂરી : મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખો

મોરબી : સસ્તો કોલગેસ બંધ થયા બાદ રાજસ્થાનથી ટાઇલ્સ રો – મટીરીયલની સપ્લાય બંધ થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું અસ્તિત્વ ખતરામાં પડ્યું હોય સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા આગામી ૧લી એપ્રિલથી વોલ, ફ્લોર અને વિટરીફાઇડ ટાઇલ્સના ભાવમાં ૧૫થી ૨૦ ટકા ભાવવધારો કરવામાં આવનાર હોવાનું મોરબી સિરામિક એસોશિએશન દ્વારા જાહેર કરાયુ છે અને હાલ આ મામલે તમામ એસોશિએશનની અગત્યની તાકીદની બેઠક પણ યોજાઈ છે.

મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મોંઘવારી વધવા છતાં જુદી – જુદી પ્રોડક્ટમાં કોઈ જ ભાવ વધારો કર્યો નથી પરંતુ છેલ્લા એક માસમાં રાજસ્થાનથી આવતું રો મટીરીયલ બંધ થવાની સાથે – સાથે કોલગેસ પ્લાન્ટ બંધ થઈ જતા મોંઘા ઇંધણ અને કાચામાલના ઉંચા ભાવને કારણે સિરામિક ઇન્ડસ્ટ્રીઝને ઉદ્યોગ ટકાવી રાખવા ફરજિયાત પણે ભાવવધારો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાનું મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝના વિટરીફાઇડ અને વોલ ટાઇલ્સ એસોશિએશનના પ્રમુખ દ્વારા બેઠક બાદ સંયુક્ત રીતે જણાવ્યું હતું.

મોરબી વિટરીફાઇડ ટાઇલ્સ એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતું કે વિશ્વસ્તરે છવાઈ ગયેલ મોરબી સિરામિક ઉદ્યોગની છેલ્લા એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. પહેલા નોટબંધી અને બાદમાં જીએસટી અમલી બનતા અનેક સિરામિક યુનિટને બંધ કરવા પડે તેવી સ્થિતિ વચ્ચે ઉદ્યોગે કેસ લિકવિડીટીનો ભયંકર સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન નોટબંધી અને જીએસટીની માઠી અસરમાંથી માંડ સિરામિક ઉદ્યોગને કળ વળી ત્યાં જ સિરામિક એક્સપોર્ટમાં જીએસટી રીફન્ડ અને બાદમાં મોરબીની સિરામિક પ્રોડક્ટની જ્યા સૌથી વધુ ખપત છે તેવા ગલ્ફ કન્ટ્રીમાં એન્ટી ડંપીંગ ડ્યુટીનો ખતરો ઉભો થતા મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ચિંતાના વાદળો ઘેરાયા હોવાનું જણાવી હવે ઉદ્યોગને ટકાવવા ભાવ વધારો અત્યંત જરૂરી હોવાનું ઉમેર્યું હતું.

- text

મોરબી વોલ ટાઇલ્સ એસોશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મોરબી સિરામિક ઉદ્યોગ ભારત જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે તેવા સમયે જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સીમાચિહ્નરૂપ ચુકાદો આવતા સિરામિક ઉદ્યોગને ઉપયોગમાં આવતું સસ્તું ઇંધણ એટલે કે કોલગેસ પ્લાન્ટ સદંતર પણે બંધ કરવા પડ્યા છે એ જ રીતે અગાઉ રાજસ્થાનથી વ્યાજબી ભાવે આવતું રો – મટીરીયલ હવે ઉંચી કિંમતે ખરીદવું પડે તેવી સ્થિતિ સર્જાતા ભાવ વધારો કર્યા વગર છૂટકો ન હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન આજે મોરબી સિરામિક એસોશિએશનની બેઠક યોજાઇ હતી જેમાં વોલ, ફ્લોર અને વિટરીફાઈડ ટાઇલ્સના ભાવમાં ૧ એપ્રિલથી ૧૫થી ૨૦ ટકા ભાવ વધારો કરવા નકકી કરાયું હતું જો કે, મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ જેતપરિયાએ સયુંકત રીતે ઉમેર્યુ હતું કે, હાલમાં ભાવ વધારો કરવા નક્કી કરાયું છે અને તમામ સ્ટેટના ડિલર્સ, વેપારીઓ સાથે વિચાર – વિમર્શ બાદ ભાવ વધારાને અંતિમરૂપ આપવામાં આવનાર હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

- text