મોરબીમાં હત્યા કરાયેલ મૃતદેહ રખડતું જીવન જીવતા યુવાનનો હોવાનું ખુલ્યું

- text


સોશ્યલ મીડિયા પર તસ્વીર વાયરલ કરાયા બાદ મૃતકની બહેને આપી ઓળખ : હત્યા કોણે કરી અને શા માટે કરી તે અંગે તપાસ

મોરબી : મોરબીના સામાકાંઠે ગઈકાલે અજાણ્યા ૨૦ વર્ષના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરેલી લાશ મળી આવી હતી. બાદમાં આ લાશ રખડતું ભટકતું જીવન જીવતા યુવાનની હોવાનું ખુલ્યું છે. આ હત્યા કોને કરી અને ક્યાં કારણોસર કરી તે બાબતે હાલ તપાસ ચાલી રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ સમાકાંઠાના યોગીનગર વિસ્તારમાં મામાદેવના મંદિર પાસે ખરાબાની જમીનમાં ગઈકાલે આશરે ૨૦ વર્ષની વયના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તેના ફોટા સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા હતાં. જેથી તેની વીરપુર ખાતે રહેતી બહેને આ મૃતક યુવાન તેનો ભાઈ હોવાની ઓળખાણ આપી હતી.

- text

આ અંગે બી.ડિવિઝનના પી.આઈ. ઝાલાએ જણાવ્યું કે મૃતક યુવાન મહેશ મુન્નાભાઈ બધુરિયા ઉ.વ.૨૦ રહે. જલારામનગર, વિરપુરની ઓળખ મળી ગઈ છે. આ યુવાન રખડતું ભટકતું જીવન ગુજારતો હતો. તેના પિતાનું ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું છે. અને તેની માતાએ બીજા લગ્ન કરી લીધા છે. તે વીરપુરમાં તેની બહેન સાથે રહેતો હતો. ૩ દિવસ પૂર્વે રાજકોટ જવાનું કહીને નીકળ્યા બાદ મોરબી પાસેથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે પોલીસને હજી હત્યાના બનાવનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે આ અંગે વિવિધ દિશામાં તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

- text