મોરબીના ઉદ્યોગપતિ પાસે એક કરોડની ખંડણી પ્રકરણમાં પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ

- text


એલસીબી – એસઓજી દ્વારા તપાસ નો ધમધમાટ

મોરબી : વાંકાનેરના સરતાનપર રોડ પર સીરામીક ફેકટરી ધરાવતા મોરબીના ઉદ્યોગપતિની ફોન કરી કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી ખંડણી માંગી બ્લાસ્ટ કરવા પ્રકરણમાં મોરબી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને શકમંદોને ઉપાડી લેવામાં આવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ફેકટરી ધરાવતા પ્રવીણ વલ્લભભાઈ બારૈયા ઉ. ૩૨, મૂળ ગામ જશાપર, હાલ સૂર્યકીર્તિ સોસાયટી મોરબીવાળા પોતાની ફેકટરીથી પરત ફરતા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી હલ્લો હલ્લો કરી ફોન કાપી નાખવામાં આવ્યો હતો.

બાદમાં ઉદ્યોગપતિ કાર લઈને આગળ જતાં જ કારની બાજુમાં જબરદસ્ત બ્લાસ્ટ કરી ફરીવાર ખંડણીખોર દ્વારા ફોન કરી જણાવાયું હતું કે એક કરોડની ખંડણી ચૂકવી દે નહીંતર આટલી જ વાર લાગશે તારા પરિવારને ઉડાવતા !!

ઉલ્લેખનિય છે કે ઉદ્યોગપતિની કાર નજીક બ્લાસ્ટ કરતા જમીનમાં દોઢ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો અને બ્લાસ્ટ જબરદસ્ત રીતે કરવામાં આવ્યો હતો.

- text

બીજી તરફ આ ચકચારી ખંડણી પ્રકરણમાં જિલ્લા પોલીસવડા, નાયબ જિલ્લા પોલીસવડા, એલસીબી, એસીબી સહિતનો સ્ટાફ તપાસમાં જોડાયો છે અને કૂવામાં ફોડવાના ડિટોનેટર મારફત બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મોરબીના ઉદ્યોગપતિને ખંડણી પ્રકરણમાં ત્રણ ત્રણ વખત ફોન કરનાર ખંડણીખોર શખ્સો ગુજરાતીમાં જ વાત કરતા હોવાનું અને રૂપિયા ૧ કરોડની ખંડણી જ આપવી પડશે તેવું સ્પષ્ટ જણાવી ભોગ બનનાર ઉદ્યોપતિની તમામ ગતિવિધિ પર નજર રાખવાની સાથે પોલીસ ફરિયાદ કરી હોવાની વાતની જાણકારી પણ મળી ગઈ હોય અંગત અદાવતનો કારણે ખંડણીનો કારસો ઘડ્યો હોવાનું મનાય રહ્યું છે.

આ ચકચારી ખંડણી મામલે મોરબી પોલીસને સફળતા પણ મળી હોવાનું અને શકમંદોને ઉઠાવી લઈ તપાસ અને પૂછપરછનો દૌર ચાલુ હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

- text