શ્રી ગણેશ ! મોરબીમાં જીએસટીની રૂપિયા ૫૮ લાખની ચોરી ઝડપાઈ

- text


રાજકોટ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટિવની ટીમે પ્રથમ કેસ કર્યો : જીએસટીના અમલ બાદ ચોરીમાં વધારો થયો

રાજકોટ : ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ સામે અત્યારે વેપારી વર્ગમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સાથોસાથ મરચન્ટ એક્સપોર્ટરોને પણ આર્થિક ફટકો પડ્યો છે તેવા સંજોગોમાં રાજકોટ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેડ ક્વાર્ટરની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા જીએસટી ચોરીનો સૌરાષ્ટ્રનો પ્રથમ કેસ મોરબીમાં કરી કરચોરી પકડવાના શ્રીગણેશ કર્યાં છે.

જીએસટીના અમલ બાદ સેન્ટ્રલ ટીમોને બહાર જવાનું ટાળી રહ્યાં છે ત્યારે ચોક્કસ માહિતીના આધારે ટીમે મોરબીના સિરામીક યુનિટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી જીએસટી ચોરી ઝડપી લીધી છે. સેન્ટ્રલ જીએસટીના કમિશનર લલીત પ્રસાદના માર્ગદર્શન હેડેળ હેડ ક્વાર્ટર પ્રિવેન્ટીવના આસી. કમિશનર વી.ડી. બહોરા અને તેમની ટીમના સુપ્રિ. અઝયકુમાર સિંઘ, સત્યનારાયણ તથા સજુ જોન સહિતના અધિકારીઓની ટીમે મોરબીમાં આવેલ સિમોલેક્ષ સિરામીક યુનિટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવતા માત્ર બે માસમાં જ રુા. ૫૮ લાખની જીએસટીની ચોરી કર્યાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. જો કે હાલના તબક્કે સિરામીક યુનિટ દ્વારા રુા. ૧૦ લાખ ભરી દેવામાં આવ્યાં છે. અને બાકીની રીકવરી માટે પ્રિવેન્ટીવ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. હેડ ક્વાર્ટર પ્રિવેન્ટીવની ટીમે એકાએક દરોડાની કાર્યવાહી હાથ ધરતા સિરામીક યુનિટની સંચાલકોમાં ચહલપહલ મચી જવા પામી છે. જીએસટીના અમલ બાદ મોટી મોટી વાતો કરવામાં આવતી હતી કે ચોરીનો સિલસિલો અટકી જશે પણ જે રીતે એકસાઈઝ ચોરી કરવામાં આવતી હતી તે જ રીતે જીએસટીમાં પણ ફરીથી ચોરી શરુ કરી દેવામાં આવી છે. આગામી દિવસો વધુ સિરામીક યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધવામાં આવે તો નવાઈ નહીં તેમ જાણવા મળી રહ્યું છે.
જીએસટીના અમલ બાદ ડીજીસીઇઆઈનું નામ બદલી જીએસટીઆઈ (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલીજન્સ) રાખવામાં આવ્યું છે અને તેઓ પાસે પણ જીએસટી ચોરી વિષે માહિતીઓ આવી રહી છે પણ તેઓ દ્વારા હમણા પગલાં લેવામાં આવી રહ્યાં નથી પણ ટૂંક સમયમાં જીએસટીઆઈ દ્વારા જીએસટી ચોરી ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
મોરબીમાં કબૂતર બિલોના દુષણ વચ્ચે બેફામ જીએસટી ચોરી

- text

ચેકપોસ્ટ દૂર, પેટ્રોલિંગ બંધ થતા ચોરી વધી

મોરબી:જીએસટી અમલમાં આવ્યું તે પહેલાં મોરબીમાં કબૂતર બિલ ના નામે ઓળખાતી ટેક્સ ચોરી કરવામાં આવતી હતી અને હવે જીએસટીના અમલ બાદ કબૂતર બિલ નું પ્રમાણ બેફામ હદે વધ્યું છે ત્યારે પ્રિવેન્સન ટીમે ઝડપી લીધેલી ચોરી બાદ સ્પષ્ટ બન્યું છે કે ટેક્સ ચોરીનું દુષણ બંધ થઈ શકે તેમ નથી.

જીએસટીના અમલની સાથે જ હાઈવે પર બનાવવામાં આવેલ ચેકપોસ્ટને દૂર કરી દેવામાં આવી છે, પણ સામે સરકારી એજન્સીઓએ હાઈવે પર સતર્કતા ઓછી દાખવતા ચોરીનું પ્રમાણ વધી ગયું છે તેમ માનવામાં આવી રહ્યું છે પણ ધીમે ધીમે જીએસટીઆઈ દ્વારા પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશ સૂત્રોમાંથી મળી રહ્યું છે.

- text