માળીયાના મોટીબરારના શિક્ષકની નેશનલ એવોર્ડ માટે પસંદગી

- text


બીજી માર્ચે દિલ્હી ખાતે માનવ સંશાધન મંત્રીના હસ્તે એવોર્ડ અપાશે 

માળિયા(મી.) : તાલુકાના નાનાદહિંસરા ગામના વતની અને રત્નમણિ પ્રાથમિક શાળા મોટીબરારમાં છેલ્લા ૬ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈનોવેટિવ શિક્ષક અનિલભાઈ બદ્રકિયાની નેશનલ એવૉર્ડ માટે પસંદગી થઈ છે.

અનિલભાઈ પોતાની શાળામાં હંમેશા અવનવા નવતર પ્રયોગો કરતા રહે છે. તેમણે GCERT ગાંધીનગર અને DIET રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં કરેલા નવતર પ્રયોગો રજૂ કર્યા છે. જેમાંથી બે વખત તેમના નવતર પ્રયોગોની રાજ્યકક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ પસંદગી થઈ ચૂકી છે. ત્યારે હવે તેમણે શાળામાં કરેલ એક નવતર પ્રયોગ “મારુ પેપર, મારી પરીક્ષા” રાજ્યની સીમાઓ પાર કરીને નેશનલ કક્ષા સુધી પહોચી ગયો છે.

- text

નેશનલ કક્ષાએ મહર્ષિ અરવિંદો સોસાયટી દિલ્હી (ZIIEI) દ્વારા દેશભરમાથી શિક્ષકોએ કરેલા નવતર પ્રયોગોની નોંધ લઈ, આવા ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહન રૂપે તેને એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી આવા 24 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાનો સમાવેશ થયો છે. જે સમગ્ર મોરબી જિલ્લા માટે તેમજ શિક્ષક સમાજ માટેની ગૌરવપૂર્ણ બાબત છે. આગામી તારીખ 2 માર્ચના રોજ દિલ્હી ખાતે માનવ સંશાધન વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક”ના વરદ હસ્તે તેમને બેસ્ટ ઈનોવેટિવ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવશે. 

- text