મોરબીમાં ફરીથી કોલગેસીફાયર શરૂ કરાવવાની હિલચાલ સામે પર્યાવરણ પ્રેમીઓનો સખત વિરોધ

- text


કોલગેસીફાયર પ્લાન્ટ બનાવતી કંપનીઓએ પોતાના અંગત ફાયદા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા પર્યાવરણપ્રેમીઓ લાલઘૂમ : પર્યાવરણ બચાવવા જાહેર જનતાને આગળ આવવાની મયુર નેચર ક્લબની અપીલ

મોરબી : મોરબી સીરામીક ઉદ્યોગમાં પ્રદુષણ ઓકતા કોલગેસી ફાયર પ્લાન્ટ બંધ કરવાના સરકારના પર્યાવરણ બચાવતા નિર્ણય સામે કોલગેસીફાયર પ્લાન્ટ બનાવતી કંપનીઓએ પોતાના અંગત ફાયદા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કોલગેસીફાયર ફરી શરૂ કરાવવાની હિલચાલ શરૂ કરી છે. જેની સામે મોરબીની પર્યાવરણ પ્રેમી સંસ્થા મયુર નેચર કલબ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઉપરાંત શહેરને પ્રદુષણથી બચાવવા જાહેર જનતાને પણ આગળ આવવાની અપીલ કરી છે.

મયૂર નેચર કલબ દ્વારા જણાવાયું છે કે મોરબી સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર બંધ કરવાના નિર્ણયને મોરબીવાસીઓએ આવકાર્યો છે. કારણ કે કોલગેસીફાયરના ઉપયોગથી મોરબીમાં પ્રદુષણ ફેલાતું હતું. જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ પણ ઉભું થતું હતું. હાલ સીરામીક ઉદ્યોગો નેચરલ ગેસ તરફ વળી ગયા છે. જે ખૂબ સરાહનીય છે.

પરંતુ કોલગેસીફાયર બનાવતી અમુક કંપનીઓ પોતાના અંગત સ્વાર્થ માટે કોલ માફીયાની સાથે મળીને કોલગેસીફાયર ફરી શરૂ કરાવવાની પેરવી કરી રહ્યા છે. આ માટે તેઓએ કાગળ પર નત નવીન મોડેલ બનાવીને પેટર્ન મેળવીને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે. ત્યારે પૈસા કમાવવા માટે લોકોના જીવ સામે જોખમ ઉભું કરવાના કોલગેસીફાયર કંપની દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની સામે મયુર નેચર કલબ વિરોધ નોંધાવે છે.

- text

કોલગેસીફાયરને ફરી શરૂ કરાવવા માટે જે કંપનીઓ તુત રચી રહી છે. તેને ઉઘાડી પાડવી જોઈએ. તેમેજ મોરબીના હિતમાં પર્યાવરણ પ્રેમી સીરામીક ઉદ્યોગકારો અને મોરબી સીરામીક એસોસિએશનએ પણ આ મામલે અવાજ ઉઠાવવો જોઈએ. વધુમાં પર્યાવરણપ્રેમી જનતા તેમજ આગેવાનોએ જાહેરમાં આવીને અંગત સ્વાર્થ માટે પ્રદુષણ ફેલાવવાના કારસા સામે લડત આપવી જોઈએ.

એક તરફ પ્રદૂષણના કારણે આજે ઘાતક રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉપરથી વાતાવરણને પણ પ્રદુષણને કારણે ગંભીર અસર પહોંચી રહી છે. ત્યારે માનવ જીવનના હિતાર્થે તમામ લોકોએ પણ પ્રદુષણ સામે વિરોધ નોંધાવવો જોઈએ. કોલગેસીફાયર પુનઃશરૂ કરવાના ષડયંત્ર સામે જરૂર પડ્યે મયુર નેચર કલબ સહિતની સંસ્થાઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી છે.

આ સાથે મયુર નેચર ક્લબે જણાવ્યું હતું કે અમે ઉધોગોનો વિરોધ નથી કરતા. બસ મોરબીને લાંબા સમય સુધી પ્રદુષણ મુક્ત રાખવા માટે કોલગેસીફાયર પ્લાન્ટ પર મુકેલો પ્રતિબંધ યથાવત રહે તે જ સમગ્ર મોરબીના હિતમાં છે. માટે હાલમાં કોલગેસીફાયર પ્લાન્ટ બનાવતી કંપનીઓ દ્વારા પોતાના અંગત ફાયદા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીનું પગલું અયોગ્ય છે. ત્યારે આ સામુહિક પ્રશ્ને મોરબીની અન્ય પર્યાવરણ પ્રેમી સંસ્થા અને આગેવાનોને પણ કોલગેસીફાયરના વિરોધમાં આગળ આવવાની મયુર નેચર ક્લબ દ્વારા અપીલ કરાઈ છે.

- text