ચિંતા ! પાટીદારો સમાજના સીતા સ્વયંવરમાં 500 યુવાનો સામે ફક્ત 40 યુવતીઓ જ આવી

- text


મોરબી : રાજ્યમાં પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક બાબતે અગ્રેસર રહ્યો છે પરંતુ પાટીદાર સમાજમાં પુત્રની તુલનામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે પાટીદાર સમાજમાં સારું કમાતા અને સારું શિક્ષણ મેળવનારા યુવાનોના પણ લગ્ન થઈ રહ્યા નથી. આ સ્થિતિ વચ્ચે વિસનગરમાં કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા.

મોરબી સહિત રાજ્યભરમાં પાટીદાર સમાજે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે, પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા જળવાઈ નથી. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ સારું શિક્ષણ મેળવ્યું હોવા છતા અને સારી આવક ધરાવતા હોવા છતા લગ્નથી વંચિત રહ્યા છે. બીજી તરફ મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા આઠ વર્ષમાં 750 કરતા વધારે બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારની યુવતીઓ સાથે લગ્ન કરવામાં આવ્યા છે.

ખાસ કરીને કુર્મી પાટીદાર મહાસભા દ્વારા જે રાજ્યોમાં કરિયાવર પ્રથા છે તેવા રાજ્યોના કુર્મી એટલે કે પાટીદાર સમાજની દીકરીઓ સાથે ગુજરાતના યુવાનોના લગ્ન માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે, વિસનગરમાં આજે પાટીદાર કુર્મી મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય પ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી. તો બીજી તરફ રજીસ્ટ્રેશન કરાવનાર 4500 યુવાનોમાંથી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા.

- text

જો કે આ કાર્યક્રમમાં 200 દીકરીઓને હાજર રાખવાનો ટાર્ગેટ હતો, જેની સામે માત્ર 40 છોકરીઓ જ હાજર રહી હતી. આજથી 23 વર્ષ અગાઉ 2001મા વસ્તી ગણતરી વખત વિસનગરમાં 0-6 વર્ષના બાળકોમાં 1000 દીકરાઓને જન્મદર સામે 713 દીકરીઓ સાથે સમગ્ર દેશમાં ત્રીજા નંબરે હતું. આ સિવાય મહેસાણા, ઊંઝાની સ્થિતિ પણ કંઈક એવી જ હતી. એટલે કે તે સમયે ઉત્તર ગુજરાતના આ વિસ્તાર સ્ત્રી ભૃણ હત્યાનું એપી સેન્ટર હતું. જેની અસર આજે આ વિસ્તારમાં કન્યાઓની ખેંચ સ્વરૂપે દેખાઈ રહી છે. ત્યારબાદ વર્ષ 2011માં પણ આ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર ન આવ્યો.

આ સ્થિતિમાં ખાસ કરીને મહેસાણા, ઊંઝા, વિસનગર સહિતના વિસ્તારમાં વસવાટ કરતી પાટીદાર સમાજની છોકરીઓની પહેલી પસંદ વિદેશમાં વસતા કે સરકારી નોકરી કરતા યુવાનો હોવાને કારણે સ્થાનિક યુવાનો સામે લગ્ન માટે કન્યા મેળવવી મુશ્કેલ બની ગઇ છે. હવે આખા દેશમાં વસતા પાટીદાર સમાજને કુર્મી પાટીદાર મહાસભાના નેજા તળે એક મંચ પર લાવી અન્ય રાજ્યની છોકરીઓ સાથે સ્થાનિક યુવાનોના લગ્ન થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ભૂતકાળમાં ચરોતરમાં કરિયાવર પ્રથાને કારણે છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તેની જેમ જ સમય બદલતા સ્ત્રી ભૃણ હત્યા ચાલુ થઈ, જેની અસર 30 વર્ષ બાદ પણ દેખાઈ રહી છે. આ સમસ્યાનો એક જ ઉપાય છે છોકરા અને છોકઓરી વચ્ચે ઉભી થયેલી અસમાનતા દૂર કરવી જોઈએ.

- text