પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સંત કીર્તન આરાધના દિવસની ઉજવણી

- text


પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનનો આવતીકાલે 14 જાન્યુઆરી, શનિવારે અંતિમ દિવસ

મોરબી: આજે સાંજે બી. એ. પી. એસ. સંગીતજ્ઞ સંતવૃંદ દ્વારા કીર્તન ભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા છતાં પ્રમુખસ્વામી મહારાજ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. નિરંતર ભક્તિમય રહેતા પ્રમુખસ્વામી મહારાજ તો કથા અને અને કીર્તનના પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેઓ હમેંશા કથા-સત્સંગ-ભક્તિ-કીર્તનને અમૃત કહેતા. તેઓ એ અમૃતને દિવસ-રાત માણતા, અને સૌને તેમાં રમમાણ રહેવાનો વારંવાર અનુરોધ કરતા.

એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્’ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

આજના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોમાં શિવરાજસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, મનહરભાઈ ઉધાસ, જાણીતા ગાયક, નારાયણ મણિ, પ્રખ્યાત વાયોલિનવાદક અને સંગીત નિર્દેશક, શ્યામલ મુનશી, જાણીતા સંગીત નિર્દેશક, સમીર શાહ, ફાઈનાન્સિયલ એડવાઇઝર, પ્રણવભાઈ અદાણી, મેનેજિંગ ડિરેક્ટર, અદાણી એન્ટરપ્રાઈઝીસ, વિવેક ભટ્ટ, ‘ગુજરાત ફર્સ્ટ’ના ચેનલ હેડ અને એડિટર, કમલેશ ગાંધી, MAS ફાઈનાન્સિયલ સર્વિસિસના ચેરમેન, હિમાંશુસિંહજી, ગોંડલ રાજવી પરિવાર, અમિશ દેવગણ, ન્યૂઝ 18, મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર, ગુજરાત- સ્ટેટ એડિટર, પ્રદીપભાઈ શાહ, સાંજ સમાચારના માલિક, મુકુલભાઈ મહેતા, માલિક અને પ્રમુખ-મેફ્લાવર ગ્રુપ હાજર રહ્યા હતા.

મનહરભાઈ ઉધાસે કીર્તન દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી હતી. આજના કાર્યક્રમમાં મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

‘ગુજરાત ફર્સ્ટ’ના ચેનલ હેડ અને એડિટર વિવેક ભટ્ટે જણાવ્યું,

“આ કાર્યક્રમ ઐતિહાસિક થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી અને મહંતસ્વામી મહારાજના સંકલ્પથી આ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઇ રહ્યો છે અને અમે પણ તેને સુઆયોજિત રીતે પ્રસારિત કરી શક્યા. પ્રમુખસ્વામી મહારાજના 12 વર્ષ પહેલાં દર્શન કર્યા ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન જેવી અનુભૂતિ થઈ હતી. ભારતીય સંસ્કૃતિને મીડિયાના માધ્યમથી કેવી રીતે પ્રસારિત કરી શકાય અને જીવિત રાખી શકાય તેની પ્રેરણા પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ પાસેથી મળી. અમારા એક રિપોર્ટરે કહ્યું કે ‘મારા હૃદયમાં સતત સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ ચાલે છે’ બીજી વ્યક્તિએ કહ્યું કે ‘મારા ગુટકા પહેલા જ દિવસે છૂટી ગયા’. ત્રીજા રિપોર્ટરે કહ્યું કે ‘હું ન્યૂઝમાં પણ એવા પ્રયત્ન કરીશ કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેવી રીતે જાળવી શકાય’.ગુજરાત ફર્સ્ટ પરિવારના અનેક લોકોના જીવન પરિવર્તન આ મહોત્સવના પ્રતાપે થઈ ગયા. મને મીડિયા જગતમાં 21 વર્ષ થયા, અને ઘણા સ્ટ્રેસમાં કામ કર્યું છે, પણ આટલા મોટા 600 એકરમાં મહોત્સવના કવરેજમાં મને બિલકુલ સ્ટ્રેસનો અનુભવ થયો નથી. આ મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ છે. અકલ્પનીય છે, અદ્વિતીય છે. બીજું કોઈ આવો કોઈ ઉત્સવ ભવિષ્યમાં કરી શકશે તો તે BAPS જ કરી શકશે.”MAS ફાઈનાન્સિયલ સર્વિસિસના ચેરમેન શ્રી કમલેશ ગાંધીએ જણાવ્યું કે, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં અદ્ભુત શિસ્ત , સમર્પણ , ખુશી વગેરે જોવા મળ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્યોને જોઈને આપણે સંકલ્પ લીધા વગર જઈશું તે તે માત્ર ઔપચારિક મુલાકાત ગણાશે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને આ શતાબ્દી મહોત્સવનું પ્રબંધન એ બિઝનેસ સ્કૂલ માટે કેસ સ્ટડી સમાન છે અને હું દૃઢપણે માનું છું કે દિવ્ય આધ્યાત્મિક શક્તિ વગર આ સમગ્ર આયોજન અશકય છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી હું પ્રાર્થના અને પુરુષાર્થનો પાઠ લઈને જાઉં છું.”

ન્યૂઝ 18ના મેનેજિંગ ડિરેક્ટર અમિશ દેવગણે જણાવ્યું કે, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે. અહી આવવા માટે મને વિમાન ટિકિટ નહોતી મળતી, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આજે હું આપની સમક્ષ ઊભો છું. સ્વામી વિવેકાનંદ પછી હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો વિશ્વભરમાં ઝંડો લહેરાવયો હોય તો તે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા છે. પ્રબંધન અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ ૬૦૦ એકરમાં બનેલું આ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સમગ્ર સમાજ માટે ઉત્તમ ઉદાહરણ અને આદર્શ સમાન છે કારણકે આજના સમયમાં પણ આવું ભવ્ય અને દિવ્ય આયોજન શક્ય છે. ઇસ્લામિક દેશમાં રણમાં જમીન હિન્દુ સ્વામિનારાયણ મંદિર માટે મળવી તે સૌથી મોટો ચમત્કાર છે. બી.એ.પી.એસ.ના મંદિરોને જોઈને ભારત દેશ અને ભારતના નાગરિકોનો પરિચય મેળવી શકાય છે. ભારત પાસે બી.એ.પી.એસ.ના રૂપમાં અનોખી શક્તિ છે.”

દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગરે જણાવ્યું કે, “દિવ્ય ભાસ્કરે હંમેશા સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારના સમાચારોને પ્રધાનતા આપી છે. મારા માટે આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને એક શબ્દમાં વર્ણવવું હોય તો તે શબ્દ છે ‘ અસંભવ થી વિરુદ્ધ ‘. આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ ‘ સંસ્કૃતિનો મહાકુંભ ‘ છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ થી આવનારી પેઢીઓ પર શું અસર થશે તે સમાજ સમક્ષ લાવવા માટે અમારું અખબાર સતત પ્રયત્નશીલ રહેશે. વિશ્વાસ અને આસ્થા આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જીવંત જોવા મળે છે.”

- text

સાંજ સમાચારના માલિક પ્રદીપભાઈ શાહે જણાવ્યું કે, “છેલ્લા એક મહિનાથી ૮૦,૦૦૦ સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે અને વધતા ને વધતા ઉત્સાહ સાથે તેમજ થાક્યા વગર રાત દિવસ સેવા કરી રહ્યા છે તે ખૂબ જ અદ્ભુત છે. તેમને ખુબ ખુબ અભિનંદન છે. આજથી ૭૦ વર્ષ પહેલાં ૧૯૪૮ માં યોગીજી મહારાજના આશીર્વાદ સાથે અમારું અખબાર શરૂ થયું હતું અને ત્યારથી અમારો નાતો આ સંસ્થા સાથે છે. ૨૫ વર્ષ પહેલાં મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ અમૃત મહોત્સવમાં હું ત્યાં હાજર હતો તે મારું સૌભાગ્ય હતું. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા વ્યસનમુક્તિ માટે ચિંતિત અને પ્રયત્નશીલ રહ્યા છે અને ત્યારે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદ સાથે અમારી સંસ્થાએ પણ નક્કી કર્યું હતું કે આપણાં અખબારમાં કોઈ પણ પ્રકારના વ્યસનની જાહેરાત આપીશું નહિ અને તે નિયમ આજે પણ પાળી રહ્યા છીએ. છેલ્લા ૩૦ દિવસથી અમારા અખબારના બે પાનાં અમે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આરક્ષિત રાખ્યા છે.”મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું,“જગતના કલ્યાણ માટે જન્મ લેનાર પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન. અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બધું લૌકિક નહિ પરંતુ અલૌકિક છે અને અકલ્પનીય છે અને સાક્ષાત્ પ્રમુખસ્વામી મહારાજની કૃપા આ નગરમાં વરસી રહી હોય તેવી મને અનુભૂતિ થઈ રહી છે.જેમ ફૂલોમાં સુગંધ હોય તે રીતે પ્રમુખસ્વામી મહારાજ આપણાં સૌમાં બિરાજમાન છે. પ્રમુખસ્વામી મહારાજ ગીતાજીના શ્લોક “ધર્મ સંસ્થાપનાકાર્યમ સંભવામિ યુગે યુગે” અનુસાર ધર્મની સ્થાપના કરવા આ પૃથ્વી પર અવતર્યા હતા તેવું હું દ્રઢપણે માનું છું. પ્રમુખસ્વામી મહારાજ ધર્મ ભક્તિ અને જ્ઞાનના ત્રિવેણી સંગમ સમાન પુરુષ હતા.

આજે અમે મધ્યપ્રદેશમાં અમે ૪ સંદેશો આપીએ છીએ જેમાં વૃક્ષો વાવો અને વ્યસન મુક્ત થાઓ તેમજ વીજળી પાણી ની બચત કરો અને સ્ત્રીઓનું સન્માન કરો અને પ્રમુખસ્વામી મહારાજે પણ આપણને એ જ શીખ આપી છે. હું મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરું છું કે , ‘ મને સદ્બુદ્ધિ આપજો અને સદમાર્ગ ના રસ્તે ચાલી શકું એવા આશીર્વાદ આપશો ‘પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવતા જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને આજે ૩૦ દિવસ પૂરા થાય છે અને ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે દિવસો ક્યાં જતા રહ્યા એ ખબર ના પડી. પ્રમુખસ્વામી મહારાજ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયા છે અને નાના મોટા દરેકના હૃદયના ખૂણે ખૂણે પહોંચી ગયા છે. પ્રમુખસ્વામી મહારાજે હંમેશા દરેકને રાજી જ કર્યા છે અને તેઓ આપણાં સાથે એટલા હળીમળી ગયા હતા કે આપણને તેમની મોટપ નો ખ્યાલ જરાય આવ્યો નથી. પ્રમુખસ્વામી મહારાજ ના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો દંભ કે દેખાવો જોવા મળ્યો નથી. પ્રમુખસ્વામી મહારાજનું જીવન ખૂબ જ સાદું , સરળ અને સહજ હતું અને એવા પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લાભ લેનાર દરેકનું મહારાજ સ્વામી કલ્યાણ કરે અને તને મને ઘને સુખિયા કરે તેવી ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.”

- text